રાજકોટમાં રખડતા ઢોરનો દિવસે દિવસે ત્રાસ વધી રહ્યો હોય તેમ અવારનવાર વાહન અકસ્માત સર્જાયા હોવાની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે વધુ એક બનાવમાં મોરબી રોડ ઉપર વૃંદાવન સોસાયટીમાં રહેતા વૃદ્ધ 25 દિવસ પૂર્વે મોરબી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મારવાડી કોલેજ પાસે અચાનક આંખલો રસ્તા ઉપર આવી જતા બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા સુરેશભાઈ સવદાસભાઇ અજાણી નામના 69 વર્ષના વૃદ્ધ ગત તા.17 ફેબ્રુઆરીના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને મોરબી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મારવાડી કોલેજ નજીક અચાનક અખલો રસ્તા ઉપર ધસી આવતા સુરેશભાઈ અજાણીએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં ડિસ્ચાર્જ કર્યા બાદ ઘરે બેભાન હાલતમાં ઢળી પડતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
