હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે જેના ભાગરૂૂપે અનેક સમાજ દ્વારા માતાજીના દર્શનની સાથે સાથે ભંડારાના આયોજનો થઈ રહ્યા છે. પરંતુ ભંડારાના આયોજનમાં પ્રસાદ લેવા માટે ગેસ ની અછત અને તંત્ર દ્વારા ગેસના બાટલા પર કાપ અને પ્રતિબંધ હોવાને કારણે રસોઈ બનાવવાનું મુશ્કેલ બન્યું છે.
ત્યારે ફરી એક વખત દેશી ચૂલા ઉપર રસોઈ બનાવવાનું શરૂ કરવાની ફરજ પડી છે. ગેસના સિલિન્ડરના અભાવને કારણે આજે રાજકોટમાં વાળંદ સમાજ દ્વારા નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આજે ચૈત્રી નવરાત્રી ના આઠમા નોરતે લીમ્બચ માતાજીના હવન બાદ રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે સાંજે ભંડારાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સાંજે 15000થી વધારે લોકો પ્રસાદ લેવાના છે. આટલી મોટી સંખ્યાના લોકો માટે ગેસ સિલિન્ડર વગર રસોઈ બનાવવાનું કાર્ય સહેલું ન હતું. સિલિન્ડર માટે તંત્ર પાસે વિનંતી પણ કરવામાં આવી હતી પરંતુ તંત્ર પાસે પણ ઉકેલ ન હોવાને કારણે અંતે વાણંદ સમાજ દ્વારા લાકડાના ચૂલા ઉપર રસોઈ બનાવવામાં આવી હતી.
સૌર કર્મ વાળંદ સમાજ ના પ્રમુખ અતુલભાઇ વાજા તેમજ ઉપપ્રમુખ સચિનભાઈ પરમારે જણાવ્યું હતું કે અમે શાસ્ત્રી મેદાનમાં સવારના 6:00 વાગ્યાથી તૈયારી શરૂૂ કરી દીધી છે લગભગ 10 જેટલા ચૂલા બનાવવામાં આવ્યા છે. જ્યાં લાકડાને સળગાવીને અસલી ટેસ્ટ સાથેની રસોઈ બનાવવામાં આવી રહી છે.
