વ્હોરા સોસાયટીના યુવાને ન્યારા ગામના પાટિયે પગલું ભરી લીધું
હાલ સોના-ચાંદીના ભાવ વધારાને કારણે સોની બજારમાં કામ કરતા ઘણા શ્રમિકોને કામ ના મળતા બેરોજગાર બન્યા છે અને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.તેમજ અમુક શ્રમિકો માથે દેવું પણ થઈ ગયું છે ત્યારે તે લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે આવા કપરા સમયે વેપારી અને શ્રમિક આત્મઘાતી પગલું ભરી લેતા હોય છે.ત્યારે રાજકોટમાં જામનગર રોડ પર વ્હોરા સોસાયટીમાં રહેતા સોની વેપારીને છેલ્લા બે મહિનાથી કામ ન મળતા તે આર્થિક ભીંસમાં મુકાયા હતા અને જેને કારણે તેઓએ ન્યારા ગામના પાટીયા પાસે એસિડ પી લઈ આપઘાત કરી લીધો હતો.
વધુ વિગતો મુજબ,જામનગર રોડ માધાપર ચોકડી પાસે વ્હોરા સોસાયટીમાં રહેતાં હિરનભાઇ જગજીવનભાઇ ધકાણ (ઉ.વ.49) નામના વેપારીએ ન્યારા ગામના પાટીયા પાસે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. ધંધામાં મંદી આવવાને કારણે આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલુ ભર્યાનું ખુલ્યું છે.
જાણવા મળ્યા મુજબ વ્હોરા સોસાયટીમાં રહેતાં હિરેનભાઇ ધકાણે ગઈ.20ના સવારે પડધરી નજીક ન્યારાના પાટીયા પાસે જઇ એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં પડધરી પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારા હિરેનભાઈ સોની બજારમાં સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતાં હતાં. પણ બે મહિનાથી કામધંધો ચાલતો ન હોઇ તેના કારણે આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલુ ભર્યું હતું. આપઘાત કરનારા હિરેનભાઇ એક બહેનથી મોટા હતાં. સંતાનમાં એક દિકરી છે. બનાવથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.
