જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રહેતાં યુવકને વિંછીયા ગીરના છતરા ગામે બીજના મેળામાં જવું હતું. પરંતુ પિતાએ વાડીએ દવા છાંટવાની હોવાથી મેળામાં જવાની ના પાડતાં પુત્રએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણના નાની લાખાવડ ગામે રહેતાં પ્રકાશ નાનજીભાઈ સરીયા નામનો 28 વર્ષનો યુવાન સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાના ગામ પાસે વિંછીયા રોડ પર હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી
. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે જસદણ પોલીસને જાણ થતાં જસદણ પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં પ્રકાશ સરીયા બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત છે. પ્રકાશ સરીયાને વિંછીયા ગીરના છત્રા ગામે યોજાતા બીજના મેળામાં જવું હતું. પરંતુ પિતાએ વાડીએ દવા છાંટવાની હોવાથી મેળામાં જવાની ના પાડતાં પુત્રએ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
