અપહ્યત યુવાનને રાજકોટથી ઉપલેટા નજીક ફાર્મ હાઉસે લઇ જઇ બેફામ માર મારી મુક્ત કરી દીધો
સ્નૂકર કલબનાં ભાડાની ડીપોઝીટ પરત અપાવવા બાબતે હોટલ માલિક અને તેના સાગ્રીતોએ કૃત્ય આચર્યાનો આરોપ
શહેરમાં પોલીસની ઢીલી નીતિને કારણે રાજકોટમાં ગુનાખોરી દિનપ્રતિદિન વધી રહી છે. ગુનેગારોને પોલીસનો જરા પણ ભય રહ્યો નથી. ત્રણ દિવસ ગુજસીટોકના આરોપીને પકડવા ગયેલી પૂર્વે પ્ર.નગર પોલીસના બે કોન્સ્ટેબલને ભગાવી તેમના ઉપર હુમલાના બનાવ બાદ પોલીસની હાજરીમાં ગુનેગારોએ એક યુવાનનું અપહરણ કર્યાનો એક કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે સ્નુકર ક્લબ ચલાવતા યુવાનનું યુનિવર્સીટી પોલીસ મથકની પીસીઆરની હાજરીમાં હોટલ માલિક અને તેના સાગ્રીતોએ સ્કોર્પિયો કારમાં અપહરણ કર્યું હતું.
સ્નુકર કલબનાં ભાડાની ડીપોઝીટ પરત અપાવવા બાબતે હોટલ માલિક અને તેના સાગ્રીતોએ યુવાનને રાજકોટથી ઉપલેટા નજીક ફાર્મહાઉસે લઇ જઇ બેફામ મારમારી મુક્ત કરી દીધો હતો. આ મામલે પોલીસ કમિશ્નર સમક્ષ કરેલી ફરિયાદમાં યુનિવર્સીટી પોલીસે આ મામલે તપાસ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ કાલાવડ રોડ પર મોટા મવા ખાતે આશુતોષ એપાર્ટમેન્ટમાં રહેતા અને યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે ફ્રી બોલ સ્નુકર ક્લબ ચલાવતા પરેશ માનસિંગભાઇ મકવાણા નામના યુવકે કરેલી અરજીમાં મુંજકા ખાતે રહેતા અને મુરલીધર હોટલ તથા પાનની દુકાન ચલાવતા અક્ષય કાનાભાઇ છૈયા, જામનગરના ઉત્સવ પટેલ તથા અન્ય 4 અજાણ્યા શખ્સો સામે અપહરણ મારા મારી, ધમકી અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા અંગેની પોલીસ કમિશનરને લેખીત ફરિયાદ આપી છે. ફરિયાદમાં પરેશ મકવાણાએ જણાવ્યું છે કે, પોતે યુનિવર્સિટી રોડ પર સ્નુકર કલબ ચલાવે છે.
તેના કલબમાં અક્ષય છૈયા રમવા માટે આવતો હતો. ત્યારબાદ અક્ષયે આ સ્નુકર કલબ ભાડે રાખ્યુ હતુ. અને ડિપોઝીટ તેમજ ભાડુુ મળી 4.50 લાખ નક્કી થયા હતા. અને એગ્રરીમેન્ટમાં છ માસ સુધી મીલકત ચલાવવાનુ લખાણ થયુ હતુ. અચાનક સ્નુકર કલબ બંધ થઇ જતા અક્ષયે ડિપોઝીટ પાછી માંગી હતી જે બાબતે ચાલતા ઝઘડામાં જેથી ગત તા.28-1ના રાત્રીના 11.30 વાગ્યના સુમારે અક્ષય છૈયા તેની કાળા કલરની સ્કોર્પીયો કાર અને તેની સાથે ઉત્સવ પટેલ બીજી કાળા કલરની બીએમડબ્લયુ કાર લઇને આવ્યો હતો. ત્યારે અક્ષય છૈયાએ પરેશ મકવાણાને કહ્યું હતુ કે, આપણે પૈસાનું સેટલમેન્ટ કરી લઇએ જે વહીવટ કર્યો છે અને હવે કાંઇ ચુકાવવાનું થતું નથી.
તે બાબત તેના પિતા સાથે વાતચીતમાં કરી લેવાનું કહી મુંજકા સાથે આવવાનું કહ્યું હતુ. આ બાબત ચાલતી હતી તે સમયે સ્નુકર કલબની સામેના ભાગે પોલીસની પીસીઆર વાન પણ હાજર હતી. છતા પરાણે તેની કારમાં પિતા સાથે વાત કરવા માટે લઇ ગયો હતો.
અને કાર મુંજકાના બદલે ઉપલેટાના સીમ વિસ્તારમાં લઇ જવાઇ હતી. ત્યાં હાજર અન્ય 4 જેટલા શખ્સોએ પરેશ મકવાણાને ઢીકાપાટુ અને ધોકા વળે બેફામ માર માર્યો હતો. આ ઉપરાંત તેની વાડીમાં રહેલા ડાઘીયા કુતરા વચ્ચે ફેકી દેવાનું કહી જાનની ધમકીઓ ઉચ્ચારી હતી. જેથી પોતે ડરી જતા અક્ષય છૈયાને તેના નાણા પરત આપી દેશે તેવું કબુલાવ્યું હતું. જેથી સ્કોર્પીયો કારમાં ફરી વખત બેસાડી પરેશ મકવાણાને રાજકોટ લવાયો હતો અને વહેલી સવારે મુક્ત કરાયો હતો. અને કહ્યું હતુ કે, પોલીસ ફરિયાદ કરીશ તો સારાવાટ નહીં રહે, આજે તો તને ટ્રેઇલર બતાવ્યું છે.
સખણો નહી રહે તો આખી પીચર બતાવીશ. આમ અક્ષય છૈયા અને તેના મળતીયાઓએ ભેગા મળી સ્નુકર કબલના સંચાલક પરેશ મકવાણાનું અપહરણ કરી માર મારી ધમકીઓ આપી માનસીક હાની પહોંચાડી હોય અને તેઓને ઉઠાવી જવાયેલ હોય ત્યારે પોલીસની હયાતી હોવા છતા પણ પોલીસનો ડર રાખ્યા વગર અપહરણ કરાયું હોય તમામ શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને લેખિતમાં અરજ કરી છે. જેના આધારે યુનિવર્સિટી પોલીસ તપાસ સોપી છે પોલીસે આ મામલે હોટલ સચાલક સહિતના અપહરણકારો સામે ગુનો નોધવા તજવીજ શરુ કરી છે.
