રાજકોટ શહેરના કંસારા બજાર વિસ્તારમાં આવેલી ’ત્રિભુવનદાસ દામોદરદાસ શેઠ’ નામની પેઢીમાં ચોરીનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગેની ફરિયાદ સચીનભાઈ રસીકલાલ શેઠ દ્વારા પોલીસ મથકે નોંધાવવામાં આવી છે, જે મુજબ ગત તારીખ 2 જુલાઈ 2026ના રોજ રાત્રિના 3 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ચોરીની ઘટના ઘટી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી પોતે સુરેન્દ્રનગર ખાતે કામ સબબ ગયા હતા અને તેમની પેઢી બંધ હતી, તે દરમિયાન અજાણ્યા ચાર જેટલા તસ્કરોએ પેઢીને નિશાન બનાવી હતી.
ચોરોએ પેઢીની પાછળ આવેલી ગઢની રાંગની દીવાલનો ઉપયોગ કરી ત્રીજા માળેથી પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારબાદ બીજા માળે આવી ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરીની ઘટના અંગેની જાણ આર.એમ.સીની કચરા પેટીની ગાડી ચલાવતા પિન્ટુભાઈ મગનભાઈ ગોહીલે ફરિયાદીને કરી હતી, જેમણે ચોરોને ભાગતા જોયા હોવાનું જણાવ્યું હતું. આ જાણકારી મળતા જ ફરિયાદી તાત્કાલિક અસરથી પોતાની દુકાને પહોંચ્યા હતા અને તપાસ કરતા તેમને ચોરી થયાનો ખ્યાલ આવ્યો હતો.
દુકાનમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કાઉન્ટરમાં રાખેલી 1,52,000 રૂૂપિયાની રોકડ રકમ ચોરાઈ હતી. આ ઉપરાંત, પેઢીના ઉપરના માળેથી ચાંદીના વાસણો, જર્મન સિલ્વરનો સામાન, તાંબાના સિક્કા અને પિતળના સામાન સહિત કુલ 3,27,250 રૂૂપિયાનો મુદ્દામાલ પણ તસ્કરો લઈ ગયા હતા.
આમ, કુલ મળીને 4,79,250 રૂૂપિયાની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂૂ કરી દીધી છે. ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 331(4), 305 અને 54 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઈન્સપેક્ટર વિજયસિંહ ઝાલાને સોંપવામાં આવી છે.
