ચોટીલા તાલુકાના ભીમગઢ ગામે મોટાભાઈ વાડીએ જવા મુદ્દે આપેલા ઠપકાથી માઠું લાગી આવતા બહેને ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના ભીમગઢ ગામે રહેતી પરિતાબેન છગનભાઈ શેખ નામની 15 વર્ષની સગીરા સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં પરીતાબેન એક ભાઈ બે બહેનમાં વચેટ છે મોટાભાઈ પ્રદીપ શેખે વાડીએ જવાનું કહેતા પરિતાબેન શેખને માઠું લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
