જિલ્લા તાલુકાની 250થી વધુ સરકારી શાળાઓના પુસ્તકો કોની બેદરકારીના પ્રતાપે પલળી ગયા?
જામનગર દરેડ બીઆરસી ભવનમાં પુસ્તકો પલળવાના મામલે નવુ ટ્વિસ્ટ સામે આવ્યુ છે. આ મામલે ગાંધીનગરથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને એક સમિતિની રચના કરવામાં આવી હતી. પરંતુ હવે અચાનક તપાસ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફાઇલ ડીપીઓ કચેરીમાંથી ગુમ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
આ ફાઇલમાં બીઆરસી કોર્ડિનેટરના નિવેદનો અને અન્ય મહત્વના પુરાવાઓ હતા. આ ફાઇલ ગુમ થવાથી તપાસમાં અડચણો સર્જાઈ છે અને આ મામલે શંકાઓ વધી છે. ફાલ્ગુની પટેલ જેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે આ ફાઇલ ગુમ થઈ અને ફરીથી કેવી રીતે બીઆરસી કોર્ડિનેટર સુધી પહોંચી તે એક ગંભીર પ્રશ્ન છે. આ ઘટનાએ એવી શંકા વધારી છે કે કોઈક આ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સરકારી કચેરીમાંથી આટલા મહત્વના દસ્તાવેજો ગુમ થવાની ઘટના ગંભીર છે અને આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જરૂૂરી છે.
દસ્તાવેજોની ફાઈલ ગુમ થવી અને તે ફાઈલ જે વ્યક્તિ વિરુદ્ધ તપાસ ચાલે છે તેના સુધી પહોંચી જવી તે કોઈને બચાવવા માટેના સક્ષમ પ્રયાસ કચેરીમાંથી જ કરવામાં આવતા હોય તેવું સ્પષ્ટપણે જણાય છે. સરકારી કચેરી માંથી આ રીતે ફાઈલ ગુમ થવી તે ખુબ જ ગંભીર બાબત છે જેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂૂરી છે. જે બાબતમાં ગાંધીનગર કક્ષાએથી તપાસના આદેશો સોપાયા હોય તે તપાસમાં કસુરવારને બચાવવા માટે ઢાંકપીછોડા કરવામાં આવે તો તે સરકારી દસ્તાવેજો સાથે તો છેડછાડ કરાઈ જ છે સાથે સાથે ગાંધીનગર વિભાગને પણ જે તે વ્યક્તિ દ્વારા ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
