ઓછી સંખ્યા જોઇ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બગડ્યા, કહ્યુ… ખર્ચો પરવડતો નથી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગઇકાલે જુનાગઢમા ગુજરાતનાં શહેર અને જીલ્લાનાં કોંગ્રેસ પ્રમુખોને સંબોધનમા આકરા પાણીએ જોવા મળ્યા હતા.
પોતાના સંબોધનમા ખડગેએ જણાવ્યુ હતુ કે ગુજરાતમા જે ઓર્ગેનાઇઝેશન દ્વારા કામ કરવામા આવ્યુ છે તેમા બહુ સારી કામગીરી ઓછા લોકોની જોવા મળે છે. તેમણે ટકોર પણ કરી હતી કે જે કાર્યકર્તાઓ કે મુખ્ય હોદેદારો કામ કરતા ન હોય તો તેઓને વહેલી તકે પાર્ટીમાંથી રવાના કરી દેવા જોઇએ. ખડગેએ આ ટકોર કર્યા બાદ ગુજરાતનાં કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકને પણ ઇશારો કરીને આ અંગે તાત્કાલીક પગલા લેવા સુચન કર્યુ હતુ. ખડગેએ જણાવ્યુ હતું કે આગામી ચુંટણીમા અહીં કામગીરી અંગે પણ ચર્ચા થશે પરંતુ આટલી ઓછી સંખ્યા જોઇને મને આશ્ર્ચર્ય થયુ છે. આપણે આપણી સંખ્યાઓ વધારવી પડશે. કોંગ્રેસ ગરીબ પાર્ટી છે ત્યારે માત્ર લોકો માટે આટલો મોટો ખર્ચો કરવો પાર્ટીને પરવડે નહીં.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પછી ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. જુનાગઢમાં કોંગ્રેસના તાલીમ શિબિરને સંબોધતા ખડગેએ તેમનું નામ લીધા વિના કહ્યું કે તે બંને (મોદી-શાહ) લોકશાહી બચાવવા માંગતા નથી.કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે કહ્યું કે તેમની પાર્ટીની મુખ્ય ચિંતા બંધારણ અને લોકશાહી બચાવવાની છે. તેમણે આરોપ લગાવ્યો કે સત્તામાં રહેલા લોકો આ સંસ્થાઓનું રક્ષણ કરવા માટે કામ કરી રહ્યા નથી. કોંગ્રેસ પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં પોતાને મજબૂત કરવા માટે સમગ્ર સંગઠનમાં ઊર્જા ભરી રહી છે જેથી તે 2027ની ચૂંટણીમાં ભાજપને હરાવી શકે.
ખડગેએ અહીં પાર્ટીના જિલ્લા અને શહેર પ્રમુખો માટે 10 દિવસના તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કરતા પહેલા મીડિયા સાથે વાત કરતા કહ્યું કે લોકશાહીમાં ચૂંટણી લડવી સામાન્ય છે. અમારો મુખ્ય મુદ્દો બંધારણ અને લોકશાહીનું રક્ષણ કરવાનો છે. ખડગેએ પોતાના સંબોધનમાં કહ્યું કે ગુજરાત એવી ભૂમિ છે જ્યાં મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ જેવા લોકો જન્મ્યા હતા અને દેશની આઝાદી માટે કામ કર્યું હતું. તેઓ આદરને પાત્ર છે કારણ કે તેમના કારણે જ દેશ સ્વતંત્ર અને એક છે. ખડગેના નિવેદનમાં ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીની મોટી હારની પીડા પ્રતિબિંબિત થઈ હતી. ગઉઅએ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 152 મતોથી જીતી છે, કારણ કે કોંગ્રેસના રણનીતિકારોએ અપેક્ષા રાખી હતી કે સ્પર્ધા વધુ કઠિન હશે, પરંતુ તે બન્યું નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આડકતરી રીતે નિશાન સાધતા તેમણે કહ્યું કે તે બંને દેશના બંધારણનું રક્ષણ કરવા માંગતા નથી અને લોકશાહી બચાવવા માંગતા નથી. ખડગેએ તમામ કોંગ્રેસના પ્રમુખ સાથેની બેઠકમાં લોકો સાથે સીધો સંવાદ જોડવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના લોકો વર્તમાન સરકારથી થાકી ગયા છે ત્યારે લોકોના પ્રશ્નો લોકોને મદદરૂૂપ થવા તમામ કોંગ્રેસના શહેર અને જિલ્લાના પ્રમુખોને કાર્યકર્તાઓને સાથે રાખીને અપીલ કરી હતી.
આવતીકાલે રાહુલ ગાંધી આવશે
લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધી આવતીકાલે એક દિવસની જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સવારે 11:30 વાગે કેશોદ એરપોર્ટ પર ઉતરશે અને ત્યાંથી સીધા જુનાગઢ જવા રવાના થશે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં હાલ ગુજરાતના તમામ જિલ્લા અને શહેર પ્રમુખની પ્રશિક્ષણ ટ્રેનિંગ મીટીંગ ચાલી રહી છે. દસ દિવસ સુધી ચાલનારી આ મિટિંગમાં આગામી સ્થાનિક ચૂંટણીઓ ઉપરાંત 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
