બોર્ડના પેપરોની ચકાસણી શરૂ, 50 ટકા શિક્ષકો ગેરહાજર

કેટલાક લાયકાત વગરના શિક્ષકો આવી જતા પરત મોકલાયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂર્ણ થતાની સાથે…

કેટલાક લાયકાત વગરના શિક્ષકો આવી જતા પરત મોકલાયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ આજે 19મી માર્ચથી રાજ્યમાં ઉત્તરવહીઓની ચકાસણી શરૂૂ થઈ ગઈ છે. રાજકોટના 25 સહિત રાજ્યના 454 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પરથી 75000 શિક્ષકોને પેપર ચકાસણી માટેનો ઓર્ડર આપવામાં આવ્યા છે. પેપર ચેકીંગ માટે બોર્ડ દ્વારા માર્ગદર્શિકા વિડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. જોકે દર વર્ષની જેમ આ વર્ષે 50% શિક્ષકો ગેરહાજર રહ્યા છે અને જે હાજર છે તેમાં પણ ધોરણ 12 સાયન્સમાં માસ્ટર ડિગ્રી સાથે બી.એડ. ન થયેલા હોય તેવા ખાનગી શિક્ષકોને ઓર્ડર અપાયા હોવાથી તેઓ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર પહોંચ્યા હતા. જોકે કેન્દ્ર નિયામકો દ્વારા તેઓને પેપર ચેકીંગ કરવા દેવામાં આવ્યા ન હતા અને પરત મોકલવામાં આવ્યા હતા. રાજકોટમાં ધોરણ 10 માં 40 પરીક્ષા કેન્દ્રોના 183 બિલ્ડીંગ પરથી 46657 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 19 પરીક્ષા કેન્દ્રોના 101 બિલ્ડીંગ પરથી 25657 તો 12 વિજ્ઞાન પ્રવાહમાં 39 બિલ્ડીંગ પરથી 7934 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજકોટ જિલ્લામાં કુલ 65 કેન્દ્રોના 323 બિલ્ડીંગના 2816 બ્લોક પરથી 80248 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી.

શહેરની ચૌધરી હાઈસ્કૂલના આચાર્ય અને ધોરણ 12 સાયન્સ ફિઝિક્સના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયામક ડો. જયેશ વસોયાએ જણાવ્યુ હતુ કે, ગુજરાત બોર્ડ દ્વારા 18 માર્ચના સાંજે ગુજરાતી માધ્યમની 5100 અને અંગ્રેજી મીડિયમની 4800 ઉત્તરવહી પોલીસ રક્ષણ સાથે સીલ બંધ કવરમાં સોંપવામાં આવી હતી. જે બાદ પોલીસ જવાનોની હાજરીમાં ઉત્તરવહીઓ સીલ કરી હતી. બાદમાં આજે સવારે સીલ ખોલવામાં આવ્યું છે અને આજથી પરીક્ષણ કાર્ય શરૂૂ કર્યું છે. એક અઠવાડિયા સુધી આ કામગીરી ચાલશે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પેપર ચકાસણી કરતા શિક્ષકોની જે લાયકાત નક્કી કરી છે તેમાં ડિગ્રી સાથે બી.એડ. ફરજિયાત છે. જોકે અહીં ખાનગી શાળાના કેટલાક શિક્ષકો આવ્યા છે કે જેઓની પાસે માસ્ટર ડિગ્રી સાથે વ્યવસાયિક એવી બી.એડ.ની લાયકાત નથી. જોકે બોર્ડના નિયમને અનુસરતા અમે તેમને પેપર ચકાસવા ન દઈ શકીએ જેથી અમે તેમને પરત મોકલ્યા છે. જ્યારે આ જ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના કો ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા જયદીપ પંડ્યાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી આ પેપર ચકાસણીની કામગીરી છે. જેથી શિક્ષકો પણ ખૂબ જ સજ્જ છે. ધોરણ 12 ફિઝિક્સની ઉત્તરવહીની ચકાસણી માટે 85 શિક્ષકોના ઓર્ડર થયા હતા જોકે તેમાંથી 55 શિક્ષકો હાજર રહ્યા છે. જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની પેપર ચકાસણી માટે 56 શિક્ષકોના ઓર્ડર થયા હતા જેમાંથી 23 હાજર રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *