જામનગરમાં તા.23ના રોજ રિલાયન્સ રિફાયનરી તથા તા.24ના રોજ કલેકટર કચેરી તથા ક્રિસ્ટલ મોલ ખાતે રાષ્ટ્રીય સ્તરની કાઉન્ટર ટેરરિસ્ટ એકસરસાઈઝ યોજવામાં આવી હતી. આ મોકડ્રિલમાં રાષ્ટ્રીય સુરક્ષા દળો, ચેતક કમાન્ડો, સીઆઈએસએફ, ક્વિક રિસ્પોન્સ ટીમ જામનગર, જિલ્લા વહીવટી તંત્ર, વિશેષ કાઉન્ટર ટેરરિઝમ ટીમો, જિલ્લા પોલીસ તેમજ અન્ય સંબંધિત વિભાગોએ સંકલિત રીતે ભાગ લીધો હતો. આ અંગે ચર્ચા અને સમીક્ષા કરવા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા એન.એસ.જી.ના કમાન્ડોની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે લગત વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન મોકડ્રિલ દરમિયાન હાથ ધરાયેલી કાર્યવાહી, વિભાગો વચ્ચેનું સંકલન, સમયસર પ્રતિસાદ અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિ મોહન સૈની, ઇન્સીડન્ટ કમાન્ડરોશ્રી, ચેતક કમાન્ડો, રિલાયન્સના પ્રતિનિધિશ્રી તથા એન.એસ.જી. કમાન્ડો અને અન્ય અધિકારીશ્રીઓએ મોકડ્રીલને લઈને પોતાના અનુભવો, સારી કામગીરી અને લર્નિંગ પોઈન્ટ્સ જણાવ્યા હતા.
જિલ્લા કલેકટર કેતન ઠક્કર અને જિલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિમોહન સૈનીની પ્રતિબદ્ધતા, પ્રતિભાવ અને સુસંગત કામગીરી તથા જિલ્લા વહીવટીતંત્રમાં મોકડ્રીલને લઈને ઉત્સાહ તેમજ સજાગતા જોવા મળી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી શારદા કાથડ, નાયબ મ્યુનીસીપલ કમિશ્નરશ્રી ઝાલા, એનએસજીના કમાન્ડરો, ચેતક કમાન્ડો, રિલાયન્સના પ્રતીનીધીશ્રી તેમજ લગત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
