ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે થોડા દિવસો પૂર્વે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોનાના દાગીનાની થયેલી ચોરીના બનાવ સંદર્ભે નોંધાયેલા કેસમાં પોલીસ દ્વારા મહિલાઓ સહિત પાંચ જેટલા આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા અદાલત સમક્ષ રજૂ કરીને ઝડપાયેલા આ તમામ આરોપીઓના બે દિવસના રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ રિમાન્ડ અરજી સામે આરોપીઓ તરફે એડવોકેટ જયેશ આર. કરમુર તથા દેવાણંદ જે. ભારવાડીયા દ્વારા નામદાર અદાલત સમક્ષ વિવિધ મુદ્દે ધારદાર દલીલો કરવામાં આવતા અદાલત દ્વારા આ દલીલોને ધ્યાનમાં લઈને આરોપીઓની રિમાન્ડ અરજી નામંજૂર કરી હતી.
ત્યાર બાદ આરોપીઓના વકીલ જયેશ કરમુર તથા દેવાણંદ ભારવાડીયા દ્વારા આરોપીઓની જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. જેમાં જામીન અરજી મુદ્દે કરવામાં આવેલી કાનૂની દલીલોને ધ્યાનમાં લઈને અદાલતે તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
