ગોંડલમાં મધરાત્રે તાજીયા જોઈને પરત ફરતાં બે મિત્રોને ત્રણ થી ચાર શખ્સોએ ‘અહિંથી કેમ નીકળ્યા’ તેમ કહી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં સરકારી હોસ્પિટલ પાસે રહેતાં અભય મુકેશભાઈ પરમાર (ઉ.24) અને તેનો મિત્ર મનીષ જેન્તીભાઈ રાઠોડ (ઉ.24) રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં તાજીયા જોઈને પરત ફરતાં હતાં ત્યારે ત્રણ થી ચાર અજાણ્યા શખ્સોએ ‘અહિં થી કેમ નીકળ્યા’ તેમ કહી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત બીજા બનાવમાં વાંકાનેરમાં રહેતો કિશન ધીરજભાઈ મકવાણા નામનો 25 વર્ષનો યુવાન રાતીદેવડી ગામે નોનવેઝ લેવા ગયો હતો ત્યારે તે જે દુકાનથી નોનવેઝ લેતો હતો તે દૂકાન બંધ હોવાથી બાજુની દુકાનમાં નોનવેઝ લેવા ગયો હતો ત્યારે તે દુકાનના વેપારીએ ‘તું જ્યાં લેતો હોય ત્યાં જા’ તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
