શહેરમાં ઘરકંકાસ અને પરિણીતા પર થતા અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પતિ દ્વારા ચારિત્ર્ય પર શંકા કરી માર મારવામાં આવતા અને સાસુ-જેઠ દ્વારા યઢામણી કરવામાં આવતા આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.જાણવા મળ્યા મુજબ આ બનાવમાં રૈયા ધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતા પુજાબેન ગોવિંદભાઈ મીર (ઉ.વ.25)ની ફરિયાદ પરથી તેણીના પતિ ગોવિંદ, જેઠ રમેશભાઇ લાખાભાઇ, સાસુ જસુબેન વિરૂૂધ્ધ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે. પૂજાબેનના લગ્ન સાત વર્ષ પુર્વે ગોવિદભાઈ લાખાભાઈ મીર સાથે થયા હતા. દંપતીને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. પુજાબેનનો આક્ષેપ છે કે તેમના પતિ ગોવિંદભાઈ અવારનવાર તેમના પર ખોટી શંકા-વહેમ રાખતા હતા. તેમજ પતિ ઘરની બહાર જતી વખતે ઘરનો ડેલો બહારથી લોક કરીને જતા હતા. જેથી પુજાબેન ઘરની બહાર નીકળી ન શકે.
દરમિયાન ગત તા. 20/02ના રોજ સવારે જ્યારે પુજાબેને પતિને ઘરનો ડેલો બહારથી બંધ કરવાની ના પાડી ત્યારે પતિ ઉશ્કેરાઈ ગયા હતા. આ સમયે ઘરમાં હાજર જેઠ રમેશભાઈએ પણ પુજાબેનને બચાવવાને બદલે ભાઈનો સાથ આપીને હેરાન કરી હતી. આ ઝઘડા બાદ પતિ અને જેઠે ભેગા મળીને પુજાબેનને ત્રણ માસૂમ બાળકો સાથે ઘરમાંથી કાઢી મુક્યા હતાં.
તેમજ સાસુ જસુબેન અને જેઠ રમેશભાઈ નાની-નાની વાતોમાં મેણા-ટોણા મારીને તેમને માનસિક ત્રાસ આપતા હોવાનો અને આ બંનેની ચઢામણીથી પતિ પણ ત્રાસ આપતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.પૂજાબેનને મારપીટના કારણે ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી અને છેલ્લા પંદર દિવસથી તેઓ જસોદા ચોક પાસે આવેલા તેમના પિતા જેસાભાઈ સોહલાના ઘરે આશરો લઈ રહ્યા છે. આટલા દિવસો વીતવા છતાં સાસરીયા પક્ષમાંથી કોઈ તેડવા કે ખબર અંતર પૂછવા ન આવતા. આખરે પુજાબેને તેમના ભાઈ ગણેશભાઈ સાથે પોલીસ સ્ટેશને જઈ પતિ ગોવિંદભાઈ, સાસુ જસુબેન અને જેઠ રમેશભાઈ વિરૂૂધ્ધ ફરિયાદ કરતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ મુકેશભાઇ ચરમટાએ ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.
