બે ખાણ પરથી 14 ડમ્પર, ત્રણ એક્ષવેટર મશીનો સહિત ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાયલા તાલુકાના ખનીજ પ્રભાવિત વિસ્તારોમાં બેફામ બનેલા ખનીજ ચોરો દ્વારા થતા બ્લેક્ટ્રેપ ખનીજના ગેરકાયદે ખોદકામની ઉઠેલી ફરિયાદોને લઈ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા મદારગઢ ગામની સીમમાં ઓચિંતો છાપો મારતાં કાળા પથ્થરના મબલક ખોદકામનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે.
સાયલા તાલુકાના ખનીજ પ્રભાવિત વિસ્તારોમાં બેફામ બનેલા ખનીજ ચોરો દ્વારા થતા બ્લેક્ટ્રેપ ખનીજના ગેરકાયદે ખોદકામની ઉઠેલી ફરિયાદોને લઈ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા મદારગઢ ગામની સીમમાં ઓચિંતો છાપો મારતાં કાળા પથ્થરના મબલક ખોદકામનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે. સૂત્રો પાસેથી વધુમાં મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા મદારગઢની સીમમાં ચાલતી બે પથ્થરની ગેરકાયદે ખાણ પરથી 14 ડમ્પર, ત્રણ એક્ષવેટર મશીનો સહિત ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાતા ખનીજ ચોરોમાં ફ્ફ્ડાટનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.
પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહી દરમ્યાન ખનીજ માફીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી તેમજ કેટલાક ડમ્પરોના ડ્રાઇવરો ઝડપાયા હોવાની પણ વિગતો મળી રહી છે.સાયલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.ચુડાસમા તથા ટીમે કરેલ દરોડા બાદ ખનીજ વિભાગને જાણ કરાઇ હતી.મધરાત સુધી ચાલેલી કામગીરી દરમ્યાન મોડી રાત્રે વાહનો સહિતનો મુદ્દામાલ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની દેખરેખ હેઠળ સીઝ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઇ છે ત્યારે આ સ્થળે કેટલા સમયથી ગેરકાયદે ખોદકામ ચાલતું હતું..?, કોના દ્વારા કરાતું હતું..? સહિતના અનેક સવાલો વચ્ચે સ્થાનિક પોલીસના દરોડાથી જવાબદાર ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
આગામી સમયમાં ખનીજ વિભાગ દ્વારા આ બાબતે કેવા પ્રકારની દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સહુની મીટ મંડાયેલી છે ત્યારે પોલીસના ગેરકાયદે ખનન, વાહનો પરના ઓચિંતા સપાટાથી તંત્રના ડર વગર બેફામ ખનીજનો ગેરકાયદેસર વેપલો કરતા તત્વોએ પોતપોતાની માયા સંકેલી ભૂગર્ભમાં ઉતરી ગયાના વાવડ મળી રહ્યા છે.
