પોરબંદર, દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પ્રભારી મંત્રીઓની હાજરીમાં સેમિનાર યોજાયા
રાજકોટમાં આગામી તા. 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
પોરબંદર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત આજથી વિવિધ કાર્યક્રમો આરંભ થશે અને બીજા દિવસે 20 તારીખે પણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અને તારીખ 21 ડિસેમ્બર 2025 સુધી પ્રદર્શન યોજાશે. આ તમામ કાર્યક્રમો તાજાવાળા હોલ અને નટવર સિંહજી ક્લબ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવેલ છે. જેમાં બ્લૂ બાયો-ઇકોનોમી વિકાસ માટેનો રોડમેપ, એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ કોન્ક્લેવ તથા મહિલા સશક્તિકરણ માટેનું સશક્ત નારી મેળા અને પ્રદર્શન યોજાશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ-ખંભાળિયા ખાતે આજે બપોરે 3:00 કલાકે આયોજિત કાર્યક્રમમાં પ્રભારીમંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂૂપ હાજર રહયા હતા.
ભાવનગર ખાતે ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટમાં યોજાયેલ કાર્યક્રમમાં પ્રભારી સચિવ તથા પ્રભારીમંત્રી કૌશિકભાઈ વેકરીયા સહિત જીઓલોજી એન્ડ માઇનીંગના કમિશનર ડો. ધવલ પટેલ (IAS)ની વિશેષ હાજરી રહી હતી. બોટાદ જિલ્લામા સવારે આયોજિત એક દિવસીય કાર્યક્રમમાં પ્રભારીમંત્રી રીવાબા જાડેજા સહિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર પ્રવિણા ડી કે. હાજર રહયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ કાર્યક્રમમા પ્રભારીમંત્રી દર્શનાબેન વાઘેલા તથા કુટિર અને ગ્રામીણ ઉદ્યોગના સેક્રેટરી અને કમિશનર આર્દ્રા અગ્રવાલ (IAS) દ્વારા પ્રાદેશિક કોન્ફરન્સ અંગે વિશેષ રજૂઆત કરવામા આવી હતી.
રાજકોટમાં વડાપ્રધાનના હસ્તે ઉદ્દઘાટન
રાજ્ય સરકાર દ્વારા જે ચાર ઝોનમાં પ્રાદેશિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (કોન્ફરન્સ) યોજવાનું નક્કી કરાયું છે. તેના ભાગરૂૂપે ઉત્તર ગુજરાતની પ્રથમ પ્રાદેશિક વાઈબ્રન્ટ કોન્ફરન્સ યોજાઈ ગયા બાદ હવે 10થી 12 જાન્યુઆરી-2026 દરમિયાન રાજકોટ ખાતે બીજી વાઇબ્રન્ટ સમિટ યોજાશે. તેની વિશેષતા એ છે કે, આ સમિટનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે એટલે ગુજરાત સરકાર આ પ્રાદેશિક સમિટને દર બે વર્ષે યોજાતી રાજ્ય કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેટલી જાજરમાન બનાવવા માગે છે અને તેની તમામ તૈયારીઓ આરંભાઈ ચૂકી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, તેની વિગતવાર સમીક્ષા કરીને તમામ સંબંધિતો પાસેથી જાણકારી મેળવી હતી.
