ગરીબ અને મધ્યમવર્ગના લોકોને વધુ વ્યાજ અને બાઈક આપવાની લાલચ આપી પૈસા પડાવ્યા
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વીરપુર ગામમાં અલગ-અલગ આકર્ષક બચત યોજનાઓ અને ઇનામી ડ્રોના નામે લોકો પાસેથી લાખો રૂૂપિયા ઉઘરાવી, પાકતી મુદતે નાણાં પરત ન કરી છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે અમિતભાઈ મગનભાઈ ગાજીપરા નામના શ્રમિક યુવાને હિંમત દાખવી વીરપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 6 જેટલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડમાં મુખ્યત્વે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધુ વ્યાજ અને મોટર સાયકલ જેવી લાલચો આપી ફસાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
ફરિયાદની વિગતો મુજબ, આરોપીઓએ ભેગા મળીને વર્ષ 2020 માં “જય જલારામ માર્કેટિંગ” નામની સંસ્થા હેઠળ ઇનામી યોજના શરૂૂ કરી હતી. જેમાં દર મહિને 1,000 રૂૂપિયા લેખે 40 મહિના સુધી નાણાં ભરવાની શરત હતી. યોજનાના અંતે રોકાણકારોને 50,000 રૂૂપિયા રોકડા અથવા તેટલી કિંમતનું મોટર સાયકલ આપવાની લોભામણી જાહેરાત કરવામાં આવી હતી. ફરિયાદીએ પોતે 38 મહિના સુધી નિયમિત હપ્તા ભરી કુલ 38,000 રૂૂપિયા જમા કરાવ્યા હતા, પરંતુ જ્યારે નાણાં પરત લેવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓએ વિવિધ બહાના હેઠળ નાણાં આપ્યા નહોતા.
એટલું જ નહીં, આરોપી અનિલ માટીયાએ નાણાં પરત ન આપવા પડે તે માટે દવા પીવાનું નાટક કરી રોકાણકારોને ડરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. માત્ર એક જ યોજના નહીં, પરંતુ આરોપીઓએ “શ્રી જલારામ બચત સહકારી મંડળી લી. અને JKMM AUTO CONSULTANCY PVT. LTD.””.” જેવી વિવિધ સંસ્થાઓના નામે પણ કૌભાંડો આચર્યા હતા. દૈનિક બચત યોજનામાં રોજના 100 થી 500 રૂૂપિયા જમા કરાવી 6 ટકા વ્યાજ આપવાની લાલચ આપવામાં આવી હતી. આ સ્કીમમાં પણ અનેક લોકોએ પોતાના કષ્ટાર્જિત નાણાં ગુમાવ્યા છે. પોલીસ ફરિયાદ મુજબ, અંદાજે 7,05,000 રૂૂપિયા જેટલી માતબર રકમ આરોપીઓએ ઓહિયાં કરી છે, જેમાં વીરપુર અને આજુબાજુના ગામોના અનેક રોકાણકારોનો સમાવેશ થાય છે.
વીરપુર પોલીસે આ મામલે બી.એન. એસ. એસ.ની કલમ 173 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં (1) અનિલભાઈ માટીયા, (2) લાલાભાઈ મેવાડા, (3) જલેવભાઈ ગમારા, (4) ભુપતભાઈ બાંભવા, (5) કરણ મેવાડા અને (6) વિપુલભાઈ મેવાડાને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 409, 420, 114 તેમજ પ્રાઈઝ ચિટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ એક્ટ અને ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ (GPID) એક્ટ મુજબ કડક કલમો લગાડવામાં આવી છે. હાલમાં તમામ આરોપીઓ ફરાર છે અને પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેષકુમાર ગમનલાલ રાઠોડ દ્વારા આ કેસની સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે આવી કોઈ લોભામણી સ્કીમોમાં ફસાવવું નહીં અને છેતરપિંડીના કિસ્સામાં તુરંત પોલીસનો સંપર્ક કરવો.
