વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધા બાદ પણ હજી સુધી યુનિવર્સિટીના નિયમોને નેવે મૂકીને વીસી બંગલો ખાલી નહીં કરતા વિવાદ ઉભો થયો છે. ત્યારે યુનિવર્સીટીનો પરિસર ખાલી કરવા અને નવા કુલપતિની પસંદગીમાં અનિચ્છનીય પ્રભાવ ટાળવા વડોદરાના સાંસદે પૂર્વ વીસી વિજય કુમારને ઇમેઇલ કરી બંગલો ખાલી કરવા ટકોર કરી છે.
વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધા બાદ નીતિ નિયમોને નેવી મૂકી હજી સુધી પણ વીસી બંગલો ખાલી નહીં કરતા મેલ કરી ટકોર કરતા જણાવ્યું છે કે, ખૂબ જ દુ:ખ અને અસંતોષ સાથે હું તમારા ધ્યાન પર આ લાવી રહ્યો છું કે અગાઉ તમે કુલપતિ પદ માટે લાયક નથી તે હકીકત જાણ્યા પછી પણ સાચા દસ્તાવેજો રજૂ કરીને અને અરજી કરીને ગુજરાત સરકારનો આદર કર્યો નથી. કૃપા કરીને સમજો કે એમ.એસ. યુનિવર્સિટી માત્ર એક સામાન્ય યુનિવર્સિટી નથી.
પરંતુ દરેક બરોડીયનના હૃદયમાં ખૂબ જ સર્વોચ્ચ સ્થાન છે અને ભારતની એક પ્રતિષ્ઠિત સંસ્થા છે. તેમણે વધુમાં જણાવ્યું છેકે, હું આ મેઇલમાં તેના ગૌરવ અને પ્રતિષ્ઠાને કેવી રીતે બગાડી છે તેની વિગતોમાં જવા માંગતો નથી. હું તમને વિનંતી કરું છું કે તમે ધન્વંતરી બંગલો વહેલી તકે ખાલી કરાવો કારણ કે તમે ફેબ્રુઆરીથી જ અન્યાયી રીતે તેના પર કબજો કરી રહ્યા છો. મને લાગે છે કે હવે તમારે આ વાત ગરિમા સાથે સમજવી જોઈએ. જ્યારે આ મેઇલની નકલ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ મોકલવામાં આવી છે.
