કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાત્રીના અંધારામાં ચાલતા તોડફોડના કાર્યક્રમોથી રાજકીય ગરમાવો
રાજકોટમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. સોમવારે રાત્રીના અંધારામાં અજાણ્યા શખ્સોએ વોર્ડ નં.3માં ભાજપના હોર્ડિંગ અને બેનર્સમાં તોડફોડ કરવામાં આવ્યા બાદ ગતરાત્રે વોર્ડ નં.4ના આમ આદમી પાર્ટીના બેનર્સમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી કાળા પીછડા મારી દેતાં ચકચાર જાગી છે.
‘આપ’ના ઉમેદવાર રાહુલ ભુવાએ બેનર્સમાં તોડફોડ અંગે સીધી ભાજપ ઉપર શંકા વ્યકત કરી છે. હજુ આગામી રવિવારે મતદાન થનાર છે. તે પૂર્વે હજુ વધુ રાજકીય ગરમાવો આવે અને રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ સર્જાવાની શકયતા છે. ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની કસોટી થવાની શકયતા છે.
આ વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના પોસ્ટરો ફાડવાની અને તેના પર શાહી લગાડીને વિરૂૂપ કરવાની ઘટના સામે આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વોનું હીન કારસ્તાન માનવામાં આવી રહ્યું છે. જોકે, આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે સત્તાધારી પક્ષ ભાજપ સામે શંકાની સોય તાકવામાં આવી છે. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચાર સામગ્રીને નિશાન બનાવીને ભય અને અસંતોષનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.આ વોર્ડમાં હાલ આમ આદમી પાર્ટી તરફથી રાહુલ ભુવા, હાર્દિક રિબડીયા, અવની જાગાણી અને રિદ્ધિબેન મેટારીયાએ મજબૂત ઉમેદવારી નોંધાવી છે. ખાસ કરીને રાહુલ ભુવા કે જેઓ એક શિક્ષિત અને યુવા ચહેરો છે, તેમની સક્રિયતાએ વિરોધીઓની ચિંતામાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં રાહુલ ભુવા માત્ર 1500 મતોના નજીવા અંતરથી હાર્યા હતા, જેના કારણે આ વખતે તેમની સ્થિતિ વધુ મજબૂત હોવાનું માનવામાં આવે છે.
