રાજકોટના કુખ્યાત બુટલેગર અને જેની સામે સૌરાષ્ટ્રમાં 34 થી વધુ ગુના નોંધાયેલા છે તેવા નામચીન બુટલેગર ફીરોઝ સંધીને છઠ્ઠી વખતે પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દારૂની હેરાફેરીમાં પંકાયેલા ફીરોજ સંધીને પીસીબીની ટીમે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દીધો છે.
દારૂની હેરાફેરી તેમજ મિલ્કત વિરોધી ગુના આચરતા કુખ્યાત ગુનેગારોને પાસા હેઠળ જેલ હવાલે કરવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા આવા ગુનેગારોની યાદી તૈયાર કરી પીસીબીને કાર્યવાહી કરવા સુચના આપી હોય જેને પગલે ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલીયા તેમજ પીઆઈ એમ.જે.હુંણ અને તેમની ટીમે શહેરના દેવપરા મેઈન રોડ પર ખ્વાજા એપાર્ટમેન્ટમાં રહેતાં કુખ્યાત ફીરોજ ઉર્ફે ફીરીયો હાસમ મેણુની પાસાની દરખાસ્ત તૈયાર કરી હોય જેને પોલીસ કમિશ્નરે મંજુર કરતાં ફીરોજને અમદાવાદ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
કુખ્યાત બુટલેગર ફીરોજ સામે રાજકોટ શહેર અને ગ્રામ્ય તથા સૌરાષ્ટ્રમાં દારૂની હેરાફેરીના 34 ગુના તેમજ હથિયારનો ગુનો નોંધાયેલો હોય અગાઉ ફીરોજ સામે વર્ષ 2007,2009, 2010,2013 અને 2015માં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોય તેને છઠ્ઠી વખત પાસામાં જેલ હવાલે કરવામાં આવ્યો છે. પીઆઈ એમ.આર.ગોંડલીયા સાથે એમ.જે.હુણ તેમજ પીએસઆઈ પી.બી.ત્રાજીયા, સંતોષભાઈ મોરી, મયુરભાઈ પાલારીયા, રાજુભાઈ દેહકવાલ, મહીપાલસિંહ ઝ્લા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, કરણભાઈ મારૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
