પ્રભાસપાટણ ખાતે સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. દિવાળીના તહેવારને અનુલક્ષીને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ તીર્થસ્થાનમાં દર્શનાર્થે આવતાં હોય છે. જેથી ટ્રાફિકની સમસ્યા નિવારવા તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા નો પાર્કિંગ ઝોન અને એકમાર્ગીય રસ્તા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર ગુડલક સર્કલથી વેણેશ્વર ચોકડી થી ન્યૂ ગૌરીકુંડ ચેકપોસ્ટ થઈ તમામ પ્રકારના વાહનો એકમાર્ગીય રીતે સોમનાથ ટ્સ્ટના પાર્કિંગમાં આવશે. અને ત્યાંથી વાહનો પાર્કિંગમાં મૂકી દર્શન કરી પરત ફરે ત્યારે સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગના એક્ઝીટ ગેટથી નવા બસ સ્ટોપ પાસે નવા બનેલા સિમેન્ટ રોડ પર થઈ અવધુતેશ્વર ત્રણ રસ્તા થઈ સફારી સર્કલથી બહાર નીકળશે.
તેમજ ગુડલક સર્કલ તરફથી આવતા વાહનો સોમનાથ શોપિંગ સેન્ટર આગળ થઈ જૂના અહલ્યાબાઈ મંદિરની પાછળ થઈ એ.ટી.એમવાળી ગલીમાં થઈ બહાર નીકળી તે મુજબ વન-વે રોડ જાહેર થવા તેમજ આ રૂૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.
આ જાહેરનામું તા.19-10-2025ના રોજ રાત્રીના 00.00 થી 26-10-2025ના રોજ 24.00 કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.
