રાજકોટ જિલ્લાની શિક્ષણાધિકારી કચેરી ફરી વખત વિવાદોના વમળમાં આવી છે. કાયમી અધિકારી નહીં હોવાથી મહત્ત્વના કામો થતા નથી અને ઇન્ચાર્જનો ડર નહીં હોવાથી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ મનમાની કરતો હોવાની ફરિયાદ વધુ એક વખત ગાંધીનગર સુધી કરવામાં આવી છે.
રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં છેલ્લા એક વર્ષથી કાયમી DEOની નિમણૂક કરી નથી.અને ઇન્ચાર્જ DEOથી રાજકોટ જિલ્લાના શિક્ષણનું ગાડુ ગબડે છે. આથી ઇન્ચાર્જ DEOના રાજમાં જિલ્લાશિક્ષણાધિકારી કચેરીના અધિકારી તથા કારકુનોની મનમાનીથી, બદઈરાદાથી, કિન્નાખોરીથી શૈક્ષણિક અને વહીવટી તમામ કામો ઠપ્પ થઇ ગયા છે. જે અંગે અગાઉ શૈક્ષણિક સંકલન સમિતિએ તા.12-5-2025ના રોજ કચેરીના ઓફીસ સુપરીન્ટેન્ડન્ટ એમ.એ, અન્સારી, કારકુન વિપુલ બોરીચા અને સુનીતાબેન બારહત, કેળવણી નિરીક્ષક હેમલબેનના નામજોગ શિક્ષણના હિતમાં આવેદન આપીને રજૂઆત કરી હતી.
જીલ્લાશિક્ષણાધિકારી કચેરીના અધિકારી તથા કારકુનો શિક્ષકોના નિવૃત્તિ પેન્શન કેસ, ઉચ્ચપગારધોરણ, ઇજાફા, એલ.ટી.સી.બીલ, વિદ્યાર્થીઓના નામમાં સુધારા વગેરે જેવા શાળાઓના પ્રાણપ્રશ્નોમાં પોતાની ફરજમાં આવતું હોવા છતાં શંકાસ્પદ રીતે કોઈ પરિણામલક્ષી કામગીરી કરવાને બદલે બેદરકારી, આડોડાઈ, વિલંબ અને ફરજ્યૂક કરતા હોવાથી આ બાબત તાત્કાલિક ધોરણે તપાસ સમિતિ બેસાડીને જવાબદાર વ્યક્તિઓ સામે કડક દાખલારૂૂપ કાર્યવાહી કરવા વિનંતી છે. જીલ્લાશિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ આ કારકુનો અને અધિકારીઓ એવું કહેતા ફરે છે કે અમારા કોન્ટેક્ટ એવા ઊંચા છે કે DEO અમારું કઈ બગાડી નહિ શકે.
હાલમાં રાજકોટ જીલ્લાશિક્ષણાધિકારી કચેરીમાં 78 થી વધુ શિક્ષકોની ઉચ્ચ પગાર ધોરણની અને નિવૃત્તિ-પેન્શનની ફાઈલો ધૂળ ખાય છે.જેને નિયમ મુજબ ગાંધીનગર મોકલવાની પૂરી જવાબદારી શિક્ષણાધિકારીની હોય છે. આજે જ્યારે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના અને દેશના શિક્ષણના વિકાસ માટે કટિબદ્ધ છે ત્યારે આપની ડબલ એન્જીન સરકારમાં રાજકોટની ડી.ઈ.ઓ. કચેરીના ખાડે ગયેલા રેઢિયાળ વહીવટ અંગે આપને ઉપરની અમારી રજૂઆત અંગે તુરંત કાર્યવાહી કરવા,તથા આચાર્યો- શિક્ષકોના હિતમાં જવાબદાર વ્યક્તિઓ સામે જરૂૂરી પગલાં લેવા રાજકોટ જિલ્લા ગ્રાન્ટેડ ટીચર્સ એસોશિએશન દ્વારા ગાંધીનગર સુધી ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે.
