વિપક્ષે લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે, જેને 114 સાંસદોએ ટેકો આપ્યો છે.
કોંગ્રેસ પાર્ટીએ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. પાર્ટીએ લોકસભા સેક્રેટરી જનરલને નોટિસ સુપરત કરી, જેના પર 118 સાંસદો દ્વારા સહી કરવામાં આવી હતી. કોંગ્રેસે નિયમ 94C હેઠળ આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. વિપક્ષે સ્પીકર વિરુદ્ધ આ પ્રસ્તાવ રજૂ કર્યો છે કારણ કે તેમણે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બોલતા અટકાવ્યા હતા અને ગૃહમાં કોંગ્રેસ મહિલા સાંસદો વિરુદ્ધ અયોગ્ય પરિસ્થિતિ ઉભી કરી હતી.
આ દરખાસ્ત પર કોંગ્રેસ, સપા, ડાબેરી પક્ષો અને આરજેડી સહિતના કુલ 118 સાંસદોએ સહી કરી છે. જોકે, તૃણમૂલ કોંગ્રેસેએ દૂરી જાળવી રાખી છે, જે વિપક્ષી ગઠબંધનમાં આંતરિક મતભેદ હોવાના સંકેત આપે છે. વિપક્ષનો આરોપ છે કે સ્પીકર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.
સંસદના નિયમો મુજબ, સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવા માટે ઓછામાં ઓછા 50 સાંસદોનું સમર્થન જરૂરી હોય છે અને નોટિસ આપ્યાના 14 દિવસ બાદ તેના પર ચર્ચા હાથ ધરવામાં આવે છે.
ભારતીય ઇતિહાસમાં ત્રણ વખત સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. પહેલો પ્રસ્તાવ 1954માં હતો, જ્યારે સમાજવાદી સાંસદ વિગ્નેશ્વર મિસીરે સ્પીકર જી.વી. માવલંકર વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં તેમના પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. ચર્ચા પછી તેને ફગાવી દેવામાં આવ્યો હતો.
1966માં મધુ લિમયેએ સ્પીકર હુકમ સિંહ પર નિશાન સાધ્યું હતું, પરંતુ અપૂરતા સમર્થન (50 થી ઓછા સભ્યો)ને કારણે પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. 1987માં, સોમનાથ ચેટર્જીએ સ્પીકર બલરામ જાખડ વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગૃહે તેને ફગાવી દીધો હતો. બંધારણના અનુચ્છેદ ૯૪ મુજબ ૧૪ દિવસની નોટિસ પછી દૂર કરવા માટે બહુમતી મતની જરૂર પડે છે.
