રાજકોટ જિલ્લામાં ભરતી કરવામાં આવેલા 82 જેટલા નવનિયુક્ત તલાટી કમ મંત્રીઓ છેલ્લા કેટલાક સમયથી ભારે અન્યાય અને વિસંગતતાનો ભોગ બની રહ્યા છે. સરકારી પ્રક્રિયા પૂર્ણ કરીને નિયુક્તિ પત્ર મેળવી લીધા હોવા છતાં, આ તલાટીઓને હજુ સુધી કોઈ ચોક્કસ ગામ કે પંચાયતમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત, દોઢ મહિનાથી કામગીરી અને હાજરી નોંધાવવા છતાં તેઓને નિયમિત પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી.અન્ય જિલ્લાઓમાં સાથે ભરતી થયેલા ઉમેદવારોને પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું છે અને તેમનો પગાર પણ શરૂૂ થઈ ગયો છે, જ્યારે રાજકોટ જિલ્લામાં જ વહીવટી ઢીલના કારણે 82 જેટલા તલાટીઓ રઝળી પડ્યા છે. આ આર્થિક અને માનસિક મુશ્કેલીથી કંટાળીને આજે તમામ નવનિયુક્ત તલાટીઓ એકઠા થઈને કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
તલાટી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા છતાં હજુ સુધી કયા ગામમાં ફરજ બજાવવી તેનું પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી.છેલ્લા કેટલાક મહિનાઓથી આર્થિક રીતે ભીંસ અનુભવી રહેલા યુવાનોને હજુ સુધી એક પણ મહિનાનો પગાર મળ્યો નથી. રાજકોટ સિવાયના અન્ય જિલ્લાઓમાં સમાન ભરતી હેઠળના તલાટીઓને તાત્કાલિક પોસ્ટિંગ આપીને પગાર પણ ચાલુ કરી દેવાયો છે.વહીવટી તંત્રની આ અણઘડ નીતિને કારણે શિક્ષિત બેરોજગારોમાંથી મુક્ત થયેલા યુવાનો હવે સરકારી સીસ્ટમના વાંકે હેરાન થઈ રહ્યા છે.
