દ્વારકાધીશ મંદિર માટે અગાઉના પ્રતિબંધિત જાહેરનામા સંદર્ભે નવું જાહેરનામું: આંશિક છૂટછાટ અપાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમી આંતરરાષ્ટ્રીય સરહદે વિશાલ સાગરકાંઠે ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમી તેમજ હોળી જેવા તહેવારો દરમ્યાન બહોળી સંખ્યામાં…

દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમી આંતરરાષ્ટ્રીય સરહદે વિશાલ સાગરકાંઠે ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમી તેમજ હોળી જેવા તહેવારો દરમ્યાન બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે મંદિર પરિસરમાં શાંતિ અને સલામતી જળવાય તે હેતુથી તારીખ 5 ઓગસ્ટ 2014 ના રોજ અહીંના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાંથી દ્વારકાધીશ મંદિરમાં કોઈપણ ક્ષયકારી અથવા સ્ફોટક પદાર્થો લઈ જઈ શકાય તેવી ચીજો જેવી કે કેમેરા, ડિજિટલ કેમેરા, મોબાઈલ ફોન, કેમ કોડર, વિડિયો શુટીંગ કરવાના ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો કે શંકાસ્પદ પદાર્થો કે વસ્તુઓ વિગેરે લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

જેમાં જિલ્લાના મહેસુલી, પંચાયત અને પ્રોટોકોલ સંબંધિત હુકમ અન્વયે ફરજ પરના અધિકારી, કર્મચારીઓને જાહેરનામામાંથી મુક્તિ આપવા શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર અને નાયબ કલેક્ટર દ્વારા કરાયેલી દરખાસ્તને ધ્યાને લઈ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંદિરના વહીવટદાર તથા નાયબ કલેકટર તેમજ જિલ્લામાં ફરજ બજાવતા તમામ નાયબ કલેક્ટરને મામલતદાર (પ્રોટોકોલ) સહીતના મામલતદારને 2014 ના પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ ઉપરાંત દ્વારકાના પ્રાંત અધિકારી અને કલેક્ટર કચેરી તરફથી જે-તે ઇવેન્ટ અનુસંધાને જેમને ફરજ સોંપવામાં આવી હોય તેવા વર્ગ-3 ના કર્મચારીઓને સંદેશાવ્યવહાર અને સંકલન માટે મોબાઈલની અનિવાર્ય આવશ્યકતાનું આંકલન કરી, પ્રાંત અધિકારી દ્વારા જે-તે ઇવેન્ટ પુરતી અલગથી પરવાનગી આપવામાં આવી હોય તેવા વર્ગ-3 ના કર્મચારીઓને પણ આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવશે. અગાઉ પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાની અન્ય તમામ વિગતો યથાવત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *