ભારતના સૌથી સફળ કેપ્ટનોની વાત કરીએ તો, તેમાં રોહિત શર્મા બીજા નંબરે આવે છે. એમએસ ધોનીના નામે 3 ICC ટ્રોફી છે અને તે ભારતનો સૌથી સફળ કેપ્ટન કહેવાય છે. જો કે, રોહિત પણ કંઈ ઓછો નથી અને તેણે ભારતને બે ICC ટ્રોફી જીતાડી છે. રોહિતની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ એક પણ મેચ હાર્યા વગર વર્ષ 2024 T20 વર્લ્ડ કપ અને વર્ષ 2025 ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી.
રોહિત શર્મા 3 ફોર્મેટમાંથી બે ફોર્મેટને અલવિદા કહી ચૂક્યો છે. તે ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે રોહિત શર્મા માત્ર એક જ ફોર્મેટ એટલે કે વન-ડે ટીમનો હિસ્સો છે, તેથી તેના ભવિષ્ય પર સવાલો ઉઠતા રહે છે. એવામાં હવે આનો જવાબ ખુદ રોહિતે આપ્યો છે.
એક કાર્યક્રમ દરમિયાન રોહિત શર્માએ પોતાના વન-ડે વર્લ્ડ કપ રમવા અંગે વાત કરી છે. તેણે જણાવ્યું કે, જ્યારથી ક્રિકેટ જોવાનું શરૂૂ કર્યું છે, ત્યારથી સપનું હતું કે તે વન-ડે વર્લ્ડ કપ જીતે, કારણ કે પહેલા T20 નહોતું રમાતું. વન-ડેમાં તે વર્લ્ડ કપ (2023) જીતી શક્યો નહોતો. રોહિતે ICC ઈવેન્ટમાં બોલતા કહ્યું કે, ’તે માત્ર વન-ડે વર્લ્ડ કપ 2027 રમવા જ નથી માંગતો પરંતુ તેને જીતવા પણ માંગે છે. તેણે કહ્યું કે, હું વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવવા માટે બેતાબ છું.’ રોહિતે વધુમાં કહ્યું કે, તે આ ટ્રોફી ઉઠાવવા માટે પૂરેપૂરો પ્રયાસ કરશે. તેણે એમ પણ કહ્યું કે, ’હું ખરેખર વર્લ્ડ કપ ટ્રોફી ઈચ્છું છું. આથી, હું સખત મહેનત કરવા અને તેને મેળવવા માટે પૂરી તાકાત લગાવી દઈશ.’
