રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આગામી સમયમાં યોજાનાર પરંપરાગત તાજીયા મહોત્સવના સમય અને રૂૂટની ઊંચાઈ નિયમોને લઈને વિવાદ સામે આવ્યો છે. ધોરાજી શહેર તાજીયા કમિટી દ્વારા આ મામલે વહીવટી તંત્રના વલણ સામે નારાજગી વ્યક્ત કરીને રાજકોટ જિલ્લા કલેક્ટરને એક લેખિત આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. કમિટીએ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા સામે વાંધો ઉઠાવ્યો છે.
કલેક્ટરને પાઠવવામાં આવેલા પત્રમાં ધોરાજી શહેર તાજીયા કમિટીના પ્રમુખ બશીરબાપુ સૈયદ અને હોદ્દેદારોએ જણાવ્યું છે કે, ધોરાજી શહેરમાં વર્ષોથી હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને પરંપરાગત રીતે તાજીયા મહોત્સવ ઉજવે છે. અહીં તાજીયા સમિતિ દ્વારા દર વર્ષે સબીલ, વાર્ષિક જલસા અને ન્યાઝ (પ્રસાદ)નું ભવ્ય આયોજન કરવામાં આવે છે. પરંતુ, આ વર્ષે તંત્ર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, તેમાં દર્શાવેલા સમય અને નિયમોથી મુસ્લિમ સમાજ અને કમિટીને ભારે અગવડતા ઊભી થઈ રહી છે.
તાજીયા કમિટીએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, ધોરાજીમાં વર્ષોથી જે પરંપરાગત સમય અને તાજીયાના રૂૂટ 32 જેટલા તાજીયા નક્કી થયેલા છે, તે મુજબ જ તંત્ર સાથે સહકાર રાખીને આયોજન કરવામાં આવે છે. પરંતુ વર્તમાન જાહેરનામાના કારણે ધાર્મિક નિયમો અને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડે તેમ હોવાથી, તંત્ર દ્વારા સમયમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે તે જરૂૂરી છે. કમિટીએ માંગ કરી છે કે જૂની પરંપરા અને રૂૂઢિ મુજબ જ સમય અને રૂૂટ ફાળવવામાં આવે જેથી શાંતિપૂર્ણ માહોલમાં આ મહોત્સવ સંપન્ન થઈ શકે.
