હાલારનું વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન અને યાત્રા સ્થળ એટલે દ્વારકા. જગતમંદિરમાં દર્શન અને શિવરાજપુર બીચ તથા સુદર્શન સેતુની મોજ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે.
તેમાં પણ વેકેશનમાં દ્વારકામાં રીતસરનો માનવ સાગર ઘૂઘવતો હોય તેવા દ્રશ્યો સર્જાઈ છે. આથી સ્થાનિક ધંધા રોજગાર માટે વેકેશનના અવસરે ખૂબ મહત્વનો હોય છે. પરંતુ હાલ મિડલ ઇસ્ટ યુદ્ધની આડકતરી અસર દ્વારકાના હોટેલ, રેસ્ટોરન્ટ અને નાના ખાણીપીણીના ધંધાર્થીઓમાં જોવા મળી રહી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર સપ્લાય ખોરવાઈ હોવાની રાવ વચ્ચે અનેક ધંધાર્થીઓ મુશ્કેલી ભોગવી રહ્યા હોવાનું અંદરખાને ચર્ચાઈ રહ્યું છે.
ચર્ચાતી વિગત અનુસાર યુદ્ધની અસરને લઇ ગેસની સપ્લાય મહદ્અંશે ખોરવાઈ છે. આથી જે લોકો નાની હોટલો, રેસ્ટોરન્ટ્સ અને રસ્તા પર લારીઓમાં ખાણીપીણીનો વ્યવસાય કરે છે, તેઓ મુખ્યત્વે 19 કિલોના કોમર્શિયલ ગેસના બાટલા પર નિર્ભર છે. પાઈપલાઈન દ્વારા મળતા ગેસની સગવડ મોટાભાગે મોટી હોટલોને જ હોય છે. પરંતુ નાના વેપારીઓ પાસે આ સિવાય કોઈ વિકલ્પ ન હોવાથી એક બાજુ નવા નિયમો અને બીજી બાજુ કોમર્શિયલ બાટલા આસાનીથી મળતા ન હોવાથી નાના વેપારીઓની હાલત કફોડી બની છે. તેમનો રોજનો વ્યવસાય ઠપ્પ થઈ ગયો છે અને ધંધા બંધ થવાના આરે હોય તેવી સ્થિતિ છે.
દ્વારકાધીશ જગતમંદિરે રોજની પાંચ ધ્વજાજી ચડાવવામાં આવતી હોય ત્યારે રોજના 1500 થી 2000 યાત્રિકો તેમજ અન્ય યાત્રિકો આવતા હોય છે. ખાસ કરીને શનિ-રવિવારના દિવસોમાં વધુ યાત્રિકો જોવા મળતા હોય છે. ત્યારે ગેસ સિલિન્ડરની અછતને લીધે હોટલ, રેસ્ટોરન્ટના ધંધા ચોપટ થવા લાગ્યા છે. જેથી તાંત્રિકોને મુશ્કેલી થતી હોવાનું ચર્ચાય છે.
બીજી બાજુ જે મોટી હોટલો છે અને જ્યાં સુધી પાઇપલાઇન ગેસની સગવડ છે, તેમને હાલમાં કોઈ તાત્કાલિક સમસ્યા નથી. બીજી બાજુ ઘણા ધંધાર્થીઓએ આ સંકટ વચ્ચે રસ્તો કાઢી લીધો છે. હાલ સગડીને હાથવગું હથિયાર માટે સગડી અને ઇલેક્ટ્રીક સ્ટવ ઉપર કામગીરી શરૂૂ કરી છે.
