શહેરમાં હૃદયરોગના હૂમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી છે. ત્યારે વધુ એક બનાવામાં પ્રહલાદ પ્લોટમાં રહેતા વૃધ્ધા મનહર પ્લોટમાં રહેતા બહેનના ઘરે રોકાવા માટે ગયા હતા. ત્યારે હૃદયરોગનો હૂમલો આવતા મોત નીપજ્યુ હતું. વૃધ્ધાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પ્રહલાદ પ્લોટમાં રહેતા ભારતીબેન હસમુખભાઇ પરમાર નામના 62 વર્ષના વૃધ્ધા રાત્રીના સાડાબારેક વાગ્યાના અરસામાં મનહર પ્લોટમાં રહેતા તેમના બહેન રમાબેનના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હૂમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃધ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ભારતીબેન પરમારને સંતાનમાં એક પુત્રી છે અને બહેનના ઘરે રોકાવા ગયા હતા. ત્યારે આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.
