બે વર્ષમાં ભાજપ સરકારના શાસનમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના શિક્ષિત યુવાનોમાં એક પણ યુવાન ને રોજગાર કચેરી મારફત સરકારી નોકરી મળી ન હોવાનું સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ જણાવી આ સરકારી આંકડા જ બોલે છે જેમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જીલ્લામાં 18,000 થી વધુ શિક્ષિત-અર્ધશિક્ષિત યુવાનો બેરોજગાર હોવાનું જણાવેલ છે.
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ સાબિત કરે છે. જિલ્લાના હજારો શિક્ષિત યુવાનો નોકરી માટે ભટકી રહ્યા છે, સરકાર તેમને નોકરી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. બેરોજગારીનો આંકમાં તા.31/01/2026 ની સ્થિતિએ ગીર સોમનાથ જિલ્લામાં 5,404 અને જૂનાગઢ જિલ્લામાં 13,220 મળી કુલ 18,624 યુવાનો જિલ્લા રોજગાર કચેરીમાં નોંધાયેલા બેરોજગાર છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે છેલ્લા બે વર્ષમાં (1/2/2024 થી 31/1/2026) રોજગાર કચેરી મારફત એક પણ યુવાનને સરકારી નોકરી મળી નથી.
જૂનાગઢ જિલ્લામાં 2024-25 માં 2,755 યુવાનોને ખાનગી રોજગારી મળી હતી, જે 2025-26માં ઘટીને માત્ર 2,353 થઈ ગઈ છે, ધારાસભ્ય એ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “સરકાર વાઈબ્રન્ટ મહોત્સવો પાછળ કરોડોનો ધુમાડો કરે છે, પરંતુ ગીર સોમનાથ અને જૂનાગઢ જીલ્લાના ડિગ્રીધારી યુવાનોને સરકારી નોકરીના નામે મીંડું જ મળે છે. સરકાર માત્ર ખાનગી કંપનીઓના ભરોસે યુવાનોને છોડી રહી છે, જેમાં શોષણ અને અનિશ્ચિતતા હોય છે. જ્યારે સરકારી કચેરીઓમાં હજારો જગ્યા ખાલી હોવા છતાં સ્થાનિક યુવાનોને ભરતી કેમ કરવામાં આવતી નથી? તેવો પ્રશ્ન જનતા પૂછી રહી હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
