પોતાની પડતર માંગણીઓ અને અન્યાયી વેતન નીતિ સામે મોરબી જિલ્લાની આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા વર્કરોએ આજે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ સત્વરે સંતોષવા રજૂઆત કરી હતી.
આંગણવાડી કાર્યકર સંઘના અગ્રણી રંજનબેન સંઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આંગણવાડી વર્કરો માટે ₹24,800 અને હેલ્પર (તેડાગર) માટે ₹20,300 ના વેતનનો જે ચુકાદો આપવામાં આવ્યો છે, તેનો અમલ કરવામાં સરકાર વિલંબ કરી રહી છે. છ મહિનાનો સમય વીતવા છતાં હજુ સુધી આ ચુકવણું કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત, બજેટમાં પણ આંગણવાડી બહેનોના વેતનમાં નોંધપાત્ર વધારો કરવાની માંગ કરવામાં આવી છે.
રંજનબેને વધુમાં ઉમેર્યું કે, જો સરકાર ડિજિટલ કામગીરીની અપેક્ષા રાખતી હોય તો બહેનોને સારી કંપનીના મોબાઈલ ફોન પૂરા પાડવા જોઈએ. હાલમાં અપૂરતા સાધનોને કારણે કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બહેનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જો ઓનલાઈન કામગીરી કે એચબીએનસી (ઇંઇગઈ) ના ફોર્મ ભરવામાં થોડી પણ વાર થાય, તો ઉપલા અધિકારીઓ દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે. માત્ર નજીવા વેતનમાં આટલું માનસિક અને શારીરિક શોષણ હવે સહન કરવામાં આવશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
