રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને ગ્રામજનોની સુખાકારી માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂૂપે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મેટિયા ગામે આવેલ ફોફળ-2 ડેમમાં મૉં નર્મદાના પાવન નીર આવી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ શુભ પ્રસંગે 76-કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે નર્મદાના નીરના શાસ્ત્રોક્ત વિધિ સાથે વધામણા કરવામાં આવ્યા હતા. આ તકે ધારાસભ્ય મેઘજીભાઈએ ખેડૂતોને શુભેચ્છા પાઠવી હતી.
ફોફળ-2 ડેમમાં નર્મદાના નીર આવવાથી ડાંગરવાડા, નાનાવડાળા, ડેરી, મેટીયા, ગુંદા માખાકરોડ તેમજ કાલમેઘડા વિસ્તારના ખેતી અને પીવાના પાણીના પ્રશ્નો હલ થશે. આ તમામ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, જેના કારણે ખેત ઉત્પાદનમાં વધારો થશે. તદુપરાંત, આજુબાજુના ગામોમાં જે પીવાના પાણીનો પ્રશ્ન હતો, તેનો પણ સુખદ ઉકેલ આવશે.
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ ભૂમિતભાઈ ડોબરીયા, કાલાવડ તાલુકા ભાજપના મહામંત્રી ભાવેશભાઈ વિરડીયા, અંબાલાલસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્ય જીગ્નેશભાઈ સાવલિયા, ડાંગરવાડા સરપંચ મુકેશભાઈ કાકડિયા, નાના વડાળા સરપંચ સુરેશભાઈ ગોલતર, ડેરી સરપંચ રાજભા જાડેજા, ભાજપ અગ્રણી ભાવેશભાઈ મારકણા, પ્રદીપસિંહ જાડેજા, સુરેશભાઈ ભુવા, મનજીભાઈ ઠુમ્મર, ભગીરથસિંહ જાડેજા, બાબુભાઈ ટીંબડીયા, ડાંગરવાડા પૂર્વ સરપંચ બાબુભાઈ, આજુબાજુના ગામના સરપંચઓ, સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનો આભાર વ્યક્ત કર્યો હતો.
