ચોરીના ગુનામાં શકમંદ તરીકે પોલીસે ઉઠાવ્યો હતો, પોલીસે સાતથી આઠ દિવસ બર્બરતા આચરી
બોટાદમાં એક સગીરને ચોરીના ગુનામાં પોલીસે ઢોર માર માર્યાના આક્ષેપ થયા છે. આક્ષેપ છે કે આ 17 વર્ષના સગીરને પોલીસે એટલો માર માર્યો કે તેને પહેલા બોટાદ અને હવે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા આ સગીરે નિવેદન આપતા કહ્યું કે તેને પોલીસે 7-8 દિવસ રાતે 2 વાગ્યાથી સવારે 8 સુધી માર્યો છે અને એવો માર્યો છે કે તેની એક કિડની ફેલ થઇ ગઈ છે અને શરીરે ઈજાઓ થઈ છે. આ સગીર છેલ્લા 15 દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
ભોગ બનનાર સગીરના પરિવારના એક વડીલે મીડિયા સમક્ષ સમગ્ર વાત કહી હતી. તેમણે કહ્યું કે તેના પૌત્રને પોલીસ અજયભાઈ અને જાનીભાઈ ચોરીના ગુનામાં ઘરેથી ઉપાડી ગયા અને તેમને પણ બે દિવસ લોકઅપમાં રાખ્યા હતા. આ દરમિયાન પોલીસ તેમને ઢોર માર માર્યાના પણ આક્ષેપ કર્યા અને સાથે કહ્યું કે મારા પૌત્રને એટલો માર માર્યો કે પગમાં શોક દીધો, આખી પીઠ ઉતરડી નાખી અને મારણ કારણે એક કિડની ફેલ થઈ ગઈ. અત્યારે મારો પૌત્ર અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે અને તેની સ્થિતિ બહુ ખરાબ છે. તેના પગ ખૂબ સોજી ગયા છે.
સગીરના પરિવારના એક વડીલે કહ્યું કે અમને કોઈ બાબતની ખબર જ નથી કે ઘટના શું બની છે. પોલીસ અમારા ઘરે આવી અને અમને ઉપાડી ગઈ. પોલીસ અમારી પાસેથી 50,000 (પચાસ હજાર) રૂૂપિયા પણ લઈ ગઈ. આ રૂૂપિયા વૃદ્ધ પેંશનના, મારા દીકરાએ ગાડી વેચી તેના અને નાની છોકરીના બાળ સુરક્ષા કેન્દ્રમાંથી આવતા હતા તે હતા. આ રૂૂપિયા ચોરીના છે અમને આપી દો એમ કરીને પોલીસ લઈ ગઈ.
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સગીરે પોલીસ પર આક્ષેપ કરતાં કહ્યું, પોલીસે મને 7-8 દિવસ માર માર્યો. રાત્રે 2 વાગ્યે મારવાનું ચાલું કરતાં તો સવારે 8 વાગ્યા સુધી મારતા હતા. મને પગમાં અને સાથળમાં માર્યું. મોઢા પર બુટ માર્યા અને કમરના ભાગમાં માર્યું. મારી એક કિડની ફેલ થઇ ગઈ છે. મેં ચોરી કરી નથી તો પણ મને માર મારીને મારા પર ચોરીનો આરોપ નાખ્યો. મારવાવાળા ડી-સ્ટાફના 4થી 5 પોલીસ હતા. કૌશિક જાની, અજય સાહેબ, યોગેશ સાહેબ અને ચોથા સાહેબનું નામ મને નથી આવડતું. એમનું નામ કુલદીપ સાહેબ જેવું છે.
ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા, અમદાવાદના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ અમદાવાદની હોસ્પિટલમાં જઈને આ સગીરની મુલાકાત લઇ ખબર અંતર પૂછ્યા હતા. આ સાથે જ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં મુખ્ય મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે આ ઘટનામાં જવાબદાર પોલીસકર્મીઓ પર ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને ભોગ બનનાર સગીરનો સારવારનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે.
