શહેરના આહીર ચોક પાસે રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતો માનસિક અસ્થિર યુવાન ઘરેથી વોકીંગમાં નીકળ્યા બાદ ઘર નજીક આવેલા એપાર્ટમેન્ટમાં જઈ કોઈ માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, આહીર ચોક નજીક રાધે ચોક પાસે આવેલી રાધેક્રિષ્ના સોસાયટી શેરી નં.3માં રહેતો ઉદયન દિલીપભાઈ લાંબા (ઉ.42) નામનો યુવાન આજે સવારે પોતાના ઘરેથી વોકીંગ માટે નીકળ્યા બાદ તેના ઘરથી આગળ આવેલા શાશ્ર્વત પ્રભુવન નામના એપાર્ટમેન્ટની લીફટમાં ઉપર જઈ કોઈ માળેથી નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈમાં મોટો અને અપરિણીત હતો તેના પિતા નિવૃત્ત શિક્ષક હોવાનું જાણવા મળ્યું છે. મૃતક માનસિક અસ્થિર હોવાનું ખુલવા પામ્યું છે.
