કચ્છના રાપરમાં માનસિક અસ્થિર 15 વર્ષીય સગીર સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રાપર શહેરમાં સગીર સાથે દુષ્કર્મની ઘટના અંગે પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, પીડિતા માનસિક દિવ્યાંગ છે અને ગત 1 જાન્યુઆરીના રોજ સગીરા ઘરની બહાર રમી રહી હતી, ત્યારે નારાધમ શિવા મોહન કોલી(ઉં.વ.29) ત્યાં આવ્યો હતો અને સગીરાને ’ચાલ માતા પાસે લઈ જઉં’ તેમ કહીને અવાવરુ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.
જ્યારે મજૂરી કામ કરીને પીડિતાના માતા-પિતા ઘરે પરત ફરે છે, ત્યારે સગીરા ઘરે જોવા મળતી નથી.
આ પછી આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં સગીરા બાવળની ઝાડીમાં મળી આવી હતી. પીડિતાની માતાએ પૂછતાં સગીરાએ સમગ્ર બનાવ અંગે જણાવ્યું હતું. ત્યારબાદ સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
