ગુજરાતના બારડોલીમાં આજે દુર્ઘટના બની છે. બારડોલીમાં એક રંગકામની ફેક્ટરીમાં આગ લાગવાથી બે કામદારોના મોત થયા છે અને લગભગ 15-20 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારે ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં તેણે આખી ફેક્ટરીને પોતાની લપેટમાં લઈ લીધી હતી. ફેક્ટરીમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ વધુ પ્રસરી હતી. આગની જાણ થતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને કુલિંગ કામગીરી ચાલુ છે. શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.
આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગને કારણે ફેક્ટરીને ભારે નુકસાન થયું છે.
