કાચની રેલિંગ તુટી પટકાયાની આશંકા : તપાસ જારી
શહેરમાં પેડક રોડ પર આવેલ લાખેશ્વર સોસાયટીમાં પહેલા માળેથી પટકાતા પરિણીતાનું કમકમાટી ભર્યુ મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. કાચની રેલીંગ તુટી જતા પરિણીતા નીચે પટકાયા ઘટના ઘટી હોવાની પરિવારે શંકા વ્યક્ત કરી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પેડક રોડ પર લાખેશ્વર સોસાયટીમાં રહેતા ઋત્વીબેન આશીષભાઈ ઢોલરીયા (ઉ.વ.26) ગઇકાલે સાંજે છ વાગ્યાની આસપાસ પોતાના ઘરે પહેલા માળે કાચની રેલીંગ પાસે હતા ત્યારે ત્યાંથી અચાનક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ત્યાં જ બેભાન થઇ ગયા હતા. જે અંગે પરિવારને જાણ થતા તેમને તાત્કાલીક સારવાર અર્થે સૌપ્રથમ ખાનગી બાદ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેમનું મોત નિપજયું હતું. પરિણીતાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે જાણ કરતા બી ડીવીઝન પોલીસે દોડી જઈ જરૂૂરી કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતકના જેઠના જણાવ્યા મુજબ તેણીનું માવતર માધાપર ગામ છે અને બે વર્ષ પહેલા આશીષભાઇ સાથે લગ્ન થયેલ હતા. ગઇકાલે તે તેમના સાસુ સાથે ઘરે હતી ત્યારે સાસુ કોઈ કામથી રૂૂમમાં ગયા બાદ ઘટના ઘટી હતી. ત્યારે કાચની રેલીંગ તુટેલી જોવા મળતા રેલીંગ તુટયા બાદ તે નીચે પડયા હોવાની આશંકા છે. આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
