કેદારનાથ સોસાયટીમાં પ્રેમ લગ્નના 9 માસ બાદ દારૂના રવાડે ચડેલા પતિના ત્રાસથી પત્નીએ જવલનશીલ પ્રવાહી પીધુ
શહેરમાં મોરબી રોડ પર આવેલી અક્ષરધામ સોસાયટીમાં રહેતી પરિણીતાને પતિ અને સાસુ સસરાએ માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર જકાતનાકા પાસે આવેલી અક્ષરધામ સોસાયટીમાં રહેતી ભાવનાબેન અતુલભાઈ કદાવલા નામની 37 વર્ષની પરિણીતા સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે સાસુ લીલાબેને તને કામ આવડતું નથી, તું કામ કરતી નથી તેમ કહી ઝઘડો કર્યો હતો. જે ઝઘડામાં ઉશ્કેરાયેલા સાસુ લીલાબેન, સસરા ડાયાભાઈ અને પતિ અતુલે ઝઘડો કરી લાદીના કટકા વડે માર મારી વાળ પકડી ઢીકા પાટુનો માર માર્યો હોવાના આક્ષેપ સાથે પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારીયા રોડ પર કેદારનાથ સોસાયટીમાં રહેતી પ્રિન્સીબેન અંકીતગીરી ગોસ્વામી નામની 20 વર્ષની પરિણીતા બપોરના સમયે પોતાના ઘરે હતી ત્યારે જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતેદાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં પ્રિન્સીબેને અંકીતગીરી ગૌસ્વામી સાથે નવ મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતાં. પ્રેમ લગ્નના નવ માસમાં જ દારૂના રવાડે ચડેલા પતિ અવારનવાર મારકુટ કરી ત્રાસ આપતો હોવાથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
