પાટડીમાં મનોદિવ્યાંગ સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક ગરીબ વિધવા માતાની 16 વર્ષની માનસિક અસ્થિર પુત્રી પર અજાણ્યા શખસે દુષ્કર્મ આચરી…

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક ગરીબ વિધવા માતાની 16 વર્ષની માનસિક અસ્થિર પુત્રી પર અજાણ્યા શખસે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સગીરાને નવમો મહિનો જતો હોવાનું તબીબી તપાસમાં બહાર આવતાં માતાએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી તેને પાટડી સરકારી હોસ્પિટલ ખસેડાઈ છે. ગમે ત્યારે તે બાળકને જન્મ આપી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર સગીરાની ઉંમર 16 વર્ષ અને 9 માસ છે. તેના પિતાનું 5 વર્ષ પહેલા અવસાન થયું હોવાથી માતા મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. માતા જ્યારે કામ અર્થે ઘરની બહાર જતી, ત્યારે માનસિક અસ્થિર સગીરા એક વિસ્તારમાં એકલી રખડતી હતી. આ સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા નરાધમે તેની લાચારીનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું.

આશરે 3 મહિના પહેલા સગીરાનું પેટ ઉપસી આવતા માતાને શંકા ગઈ હતી. પુત્રીની પૂછપરછ કરતા તેણે અસ્થિર મગજને કારણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. ત્યારબાદ તેને બહુચરાજીના ખાનગી દવાખાને તપાસ માટે લઈ જવાતા ડોક્ટરે તે 6 મહિનાની ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. સામાજિક બદનામીના ડરથી માતાએ શરૂૂઆતમાં આ વાત છુપાવી રાખી હતી.ગઈકાલે રાત્રે સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા તેને ઝીંઝુવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં ફરજ પરના તબીબોએ તપાસ કરી જણાવ્યું કે, સગીરાને 9મો મહિનો ચાલી રહ્યો છે અને ગમે ત્યારે ડિલિવરી થઈ શકે છે. ત્યારે સગીરાને પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.પરિસ્થિતિની ગંભીરતા જોતા વિધવા માતાએ હિંમત ભેગી કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી નરાધમ શખ્સને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *