રાજકોટની ભાગોળે મહિકા ગામે મહીકાના પ્રખ્યાત પુડલાવાળા તરીકે ઓળખાતા જયંતીભાઈ ગજેરા સહિત વધુ ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોતની નિપજયા છે. મહીકાના પુડલા વાળા જયંતીભાઈ અમદાવાદથી કેટરર્સનું કામ પૂરું કરીને પરત આવતા હતા ત્યારે ચાલુ કારમાં જ હૃદય રોગનો હુમલા આવતા જીવલેણ નીવડયો હતો.
જાણવા મળતી વિગત મુજબ મહિકા ગામે રહેતા અને મહિકાના પુડલાવાળા તરીકે પ્રખ્યાત જેન્તીભાઈ બચુભાઈ ગજેરા ઉ.વ.62 તેમનું કેટરર્સ ચલાવતા હતા તેઓ અમદાવાદ ખાતે પ્રસંગમાં પુડલા બનાવવાનો ઓર્ડર હોવાથી કેટરીંગ ટીમ સાથે ગયા હતા ત્યાંથી કામ પૂર્ણ કરી કારમાં માહીકા ગામે પરત આવતા હતા ત્યારે ચોટીલા નજીક પહોંચતા ચાલુ કારમાં ગભરામણ થતા અને છાતીમાં દુખાવો ઉપાડતા રાજકોટ ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મરણ ગયાનું જાહેર કર્યું હતું. આ અંગે સિવીલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તબીબો દ્વારા હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર કરાયું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક જયંતીભાઈને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે બીજા બનાવમાં જસદણના કમળાપુર ગામે રહેતા શીવાભાઈ લક્ષ્મણભાઈ દુધરેજીયા ઉંમર વર્ષ 62 નામના વૃદ્ધ આજે સવારે ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થે ગયા હતા ત્યારે મંદિરમાં ચક્કર આવતા ઢળી પડતા તેમને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના તબીબે હાર્ટ એટેક આવતા મોત થયાનું જાહેર કર્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક શિવાભાઈ પાંચ બહેનના એકના એક ભાઈ હતા તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે ત્રીજા બનાવમાં સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા બીપીનભાઈ ઇશ્વરભાઇ ચૌહાણ ઉંમર વર્ષ બાવન નામના પ્રૌઢ બેભાન થઈ જતા તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં તેમને પણ હૃદય રોગનો હુમલો આવી ગયાનું જાણવા મળ્યું છે વધુ તપાસ હાથ ધરી છે.
