કોળી સમાજના મુદ્દે ‘આપ’ના બ્રિજરાજ સોલંકીનો કુંવરજી બાવળિયાને પડકાર
ગુજરાતમાં કોળી સમાજ સતત સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યો છે. 2 કરોડની વસ્તી ધરાવતા કોળી સમાજનું નેતૃત્વ ઓછું કેમ છે અને મહત્વનું પદ મળે તે માટે સમાજના આગેવાનો સતત અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી અને મંત્રી કુંવરજી બાળિયા વચ્ચે તું તું મેં મેં જોવા મળ્યું.
જસદણના શિવરાજપુર ગામે આમ આદમી પાર્ટીની થોડા દિવસ પહેલા સભા યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળીયાને સામે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઘનશ્યામ રાજપરાની હત્યા કરી નાખવા છતાં કોઈ નેતાએ સામે ન જોયું. કોળી સમાજ પોલીસ સ્ટેશન ન્યાય માટે ગયો ત્યારે લાઠીચાર્જ થયો. 92 નિર્દોષ વ્યક્તિઓ ઉપર ખોટા કેસો થયાં, હત્યારો ખુલ્લા બહાર ફરે છે. જસદણ વીંછીયા પંથકમાં કોળી સમાજનો કેબિનેટ મંત્રી હોવા છતાં ન્યાય માંગવા જવું પડે. સમાજે ચૂંટણી જીતાવી છતાં વિશ્વાસ ઘાટ કર્યો.
બ્રિજરાજ સોલંકીએ કુંવરજીને પડકાર આપતા કહ્યું હતું કે, તમારી સરકાર તમારું જ સાંભળતી ન હોય તો પાર્ટીનો ખેસ ઘરે મૂકીને આંદોલન કરવા આવી જાવ. કુંવરજી બાવાળીયા જેટલા દિવસ આંદોલન કરશે તેટલા દિવસ બ્રિજરાજ સોલંકી અન્નનો ત્યાગ કરશે.
આમ, ગુજરાતમાં કોળી સમાજ મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે. આ પહેલા ગુજરાતમાં કોળી સમાજના મુખ્યમંત્રીની માંગ પણ ઉઠી ચૂકી છે. સમસ્ત કોળી સમાજે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા વડાપ્રધાનને પત્ર પણ લખ્યો હતો.
