ચહલના ચમત્કાર સાથે કોલકાતા ઢેર, પંજાબ કિંગ્સનો વિજય

112 રનના લક્ષ્યાંકના જવાબમાં KKRની ટીમ માત્ર 95 રનમાં ઓલઆઉટ IPL 2025 ની 31મી મેચમાં, પંજાબ કિંગ્સ એટલે કે PBKS ની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સ…

112 રનના લક્ષ્યાંકના જવાબમાં KKRની ટીમ માત્ર 95 રનમાં ઓલઆઉટ

IPL 2025 ની 31મી મેચમાં, પંજાબ કિંગ્સ એટલે કે PBKS ની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કમાલ કરી. પંજાબે રોમાંચક લો સ્કોરિંગ મેચમાં કોલકાતાને 16 રને હરાવીને નવો ઇતિહાસ રચ્યો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, યજમાન ટીમ પંજાબ ફક્ત 111 રનમાં જ આઉટ થઈ ગઈ. પંજાબનો એક પણ બેટ્સમેન ટકીને રમી શક્યો નહીં. પ્રભસિમરને સૌથી વધુ 30 રનનું યોગદાન આપ્યું.

પંજાબના 111 રનના જવાબમાં કોલકાતા 15.1 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આ રીતે, પંજાબે IPLમાં સૌથી ઓછા સ્કોરનો ડીફેન્ડ કરવાની મહાન સિદ્ધિ હાંસલ કરી. આ પહેલા IPLમાં સૌથી ઓછા સ્કોરનો બચાવ કરવાનો રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સના નામે હતો. CSK એ IPL 2009 માં 116/9 રનનો સ્કોર બચાવ્યો હતો. હવે પંજાબે CSKનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે IPLમાં સૌથી મોટા લક્ષ્યનો પીછો કરવાનો રેકોર્ડ પણ પંજાબ કિંગ્સના નામે નોંધાયેલો છે. રસપ્રદ વાત એ છે કે પંજાબે આ મોટી સિદ્ધિ IPL 2024 માં જ કોલકાતા સામે કરી હતી. પંજાબના સામાન્ય સ્કોરનો પીછો કરતી વખતે કોલકાતાના બેટ્સમેનોને પણ સંઘર્ષ કરતા જોવા મળ્યા. કોલકાતાના ઓપનર સુનીલ નારાયણ અને ક્વિન્ટન ડી કોક પહેલી બે ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા. આ પછી, કેપ્ટન અજિંક્ય રહાણે અને અંગક્રિશ રઘુવંશીએ બાજી સંભાળી અને સ્કોરને 62 રન સુધી પહોંચાડ્યો. આ પછી પંજાબના સ્પિનર ચહલે પોતાના સ્પિન જાદુનો ઉપયોગ કર્યો અને પોતાની સતત બે ઓવરમાં રહાણે અને રઘુવંશીને આઉટ કર્યા. આ પછી, 11મી ઓવરમાં વેંકટેશ ઐયર મેક્સવેલનો શિકાર બન્યો. કોલકાતાની અડધી ટીમ 74 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ હતી.

મેક્સવેલ પછી 12મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા ચહલે સતત 2 બોલમાં રિંકુ સિંહ અને રમનદીપ સિંહને આઉટ કરીને કોલકાતાને બેકફૂટ પર ધકેલી દીધુ. આ પછી, માર્કો જેનસેને હર્ષિત રાણાને આઉટ કરીને પંજાબની જીતની આશા વધારી. કોલકાતાને વૈભવ અરોરાના રૂૂપમાં 9મો ફટકો પડ્યો. આ પછી, આન્દ્રે રસેલે કેટલાક મોટા શોટ રમીને મેચને પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અંતે માર્કો જેન્સને છેલ્લી વિકેટ લીધી અને પંજાબને રોમાંચક વિજય અપાવ્યો. કોલકાતા તરફથી અંગક્રિશ રઘુવંશીએ સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. રઘુવંશીએ પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. પંજાબ તરફથી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 4 વિકેટ લીધી. માર્કો જેનસેને ત્રણ વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *