જાણો,જેઠીમધ ખાવાના ઔષધીય ગુણ

ઠંડીની શરૂૂઆત થઈ છે વાતાવરણમાં ફેરફાર આવતાં જ ગળામાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. ગળું સૂકાઈ જવું, દુખાવો અને અવાજ બેસી જવા જેવી સમસ્યા થાય…

ઠંડીની શરૂૂઆત થઈ છે વાતાવરણમાં ફેરફાર આવતાં જ ગળામાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. ગળું સૂકાઈ જવું, દુખાવો અને અવાજ બેસી જવા જેવી સમસ્યા થાય છે. જેઠીમધનો ઉપયોગ કરી આ સમસ્યા દૂર કરી શકાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. જાણો જેઠીમધનો ઉપયોગ કયારે કરી શકાય છે.
પિત્ત વધી જાય અને કફ પીગળવાને કારણે ગળામાં ખિચ-ખિચ થાય એ લક્ષણોમાં રાહત આપવાનું કામ કરે છે જેઠીમધ. શાતા આપવાનું કામ કરે અને કફ છૂટો પાડવાનું કામ થાય છે જેઠીમધના મૂળમાંથી બનાવેલા અર્કથી. ઘરમાં મુલેઠીનું ચૂર્ણ રાખશો તો અનેક સમસ્યામાં કામ આવશે.

જેમ સૂંઠ, ગંઠોડા, લવિંગ, કાળાં મરી જેવાં દ્રવ્યો રસોડામાં ઔષધની ગરજ સારે છે એવું જ કામ આપે છે જેઠીમધ. આ ઔષધ પણ દરેક ઘરમાં હોવું જ જોઈએ. પિત્તનો પ્રકોપ વધતો હોય ત્યારે જેઠીમધ બહુ કામનું છે. જેઠીમધ શીતળ અને મધુર હોવા છતાં કફકારક નથી. એ ગુરુ અને સ્નિગ્ધ છે. એનો રસ અને વિપાક (પચ્યા પછીનો ગુણ) બન્ને મધુર છે અને વીર્ય શીત છે. જેઠીમધનું ચૂર્ણ એમ જ જીભ નીચે રાખીને ચૂસવામાં આવે તો એનાથી કફ, ખાંસી અને તરસ મટે છે.

ચીકાશયુક્ત હોવા છતાં કફ છૂટો પાડે છે. મૃદુ રેચક છે, પૌષ્ટિક છે અને આંખો માટે હિતકર છે. કફ, ખાંસી, શ્વાસ, ક્ષય, હેડકી અને ઘા થયાં હોય ત્યારે એનો છૂટથી વપરાશ થાય છે. એનું ચૂર્ણ, ક્વાથ, શીરો ઔષધમાં વપરાય છે.

જેઠીમધનો પાઉડર દૂધમાં ભેળવીને પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. વારંવાર થાક લાગવો કે શરીરમાં નબળાઈની વારંવાર ફરિયાદ રહેતી હોય તેમણે નરણાં કોઠે જેઠીમધના પાઉડરને મધ સાથે કે ગરમ દૂધમાં -પાણીમાં ભેળવીને પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે.

જેઠીમધનો ઉપયોગ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં પણ મદદરૂૂપ થાય છે. તેનું મુખ્ય કારણ એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણો હોવાને કારણે શરીરની નસોને નુકસાન થતું અટકાવે છે. જેઠીમધ તથા આમળાનું ચૂર્ણ લેવાથી વાળ સફેદ થતાં અટકે છે. વાળ લાંબા, કાળા તથા મજબૂત બને છે. જેઠીમધને ઘસીને કે તેના પાઉડરનો ઉપયોગ ચહેરા ઉપર કરવાથી ત્વચા નિખરે છે. લોહીને શુદ્ધ કરવામાં જેઠીમધ ગુણકારી છે.

આંખોમાં બળતરા અથવા આંખો સાથે જોડાયેલા રોગો થાય ત્યારે જેઠીમધનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. એટલા માટે જેઠીમધના ઉકાળાથી આંખો ધોવાથી બળતરા મટે છે અને આંખોનો રોગ મટે છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધ પાવડર માત્રામાં વરીયાળીનું ચૂર્ણ ભેળવીને તે ચૂર્ણનું સેવન કરવાથી આંખોની બળતરા ઓછી થાય છે અને આંખોની રોશની વધે છે.

જેઠીમધ કમળો, હેપેટાઇટિસ અને ફેટી લિવર જેવા રોગોમાં ખૂબ મદદરૂૂપ થાય છે. તેનામાં રહેલા કુદરતી એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ ઝેરી પદાર્થોથી લિવરનું રક્ષણ કરે છે. તેમજ હિપેટાઇટિસના કારણે લિવરમાં આવેલ સોજાને પણ ઉતારવામાં જેઠીમધ મદદરૂૂપ થાય છે.

જેઠીમધમાં જીવાણુ વિરોધી અને બેક્ટેરિયા વિરોધી તત્વો હોવાના કારણે તેને ચગળવાથી કેવેટી વધારનારા બેક્ટેરિયાની વૃદ્ધિ અટકી જાય છે. દાંતમાં રહેલા સડાને પણ ઓછો કરે છે. દાંતના આરોગ્ય માટે જોઠીમધના પાઉડરનો પ્રયોગ કરવો જોઈએ.

જેઠીમધ મોઢામાં રાખીને ઘણા સમય સુધી સુચતા રહેવાથી ખાંસીથી આરામ મળે છે. જો તમને સુકી ઉધરસ છે તો 1 ચમચી જેઠીમધને મધ સાથે ભેળવીદિવસમાં 2 થી 3 વખત ચાટીને ખાવાથી તેમજ જેઠીમધનો ઉકાળો બનાવીને 20 થી 25 મિલી માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી જેઠીમધનો ફાયદો મળે છે.

3 થી 5 ગ્રામ જેઠીમધ અને તેટલી જ માત્રામાં બાલકાડુ ચૂર્ણ ભેળવીને, આ મિશ્રણને 15 થી 20 ગ્રામની માત્રામાં પાણી સાથે દરરોજ લેવાથી હ્રદય સાથે જોડાયેલી બીમારીઓથી રાહત મળે છે. જેઠીમધનો ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગ કરવાથી પેટના અલ્સરને ઠીક કરી શકાય છે. તેના માટે એક ચમચી જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધનો પાવડરને એક કપ દુધમાં દિવસમાં 3 વખત સેવન કરવાથી પેટના અલ્સરની બીમારી ઠીક થાય છે.

માસિક ધર્મ દરમિયાનના દિવસોમાં વધારે લોહી નીકળી રહ્યું હોય તો એવા સમયે જેઠીમધનું સેવન કરવાથી તેને અટકાવી શકાય છે. તેના માટે 1 થી 2 ગ્રામ જેઠીમધ ચૂર્ણમાં 5 થી 10 ગ્રામ સાકર ભેળવીને ચોખાના ધોવરાવણમાં નાખીને પીવાથી માસિક દરમિયાન વધારે પડતો રક્તસ્ત્રાવ બંધ થાય છે.

માથાના દુખાવાથી પરેશાન વ્યક્તિ માટે જેઠીમધ ખુબ જ ઉપયોગી છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધનો પાવડરના એક ભાગમાં તેના ચોથાભાગનું કલીહારી ચૂર્ણ અને થોડુક સરસવનું તેલ ભેળવીને સુંઘવાથી માથાનો દુખાવો મટે છે. માઈગ્રેનના દુખાવાથી પરેશાન રહેનાર લોકો માટે જેઠીમધ ખુબ જ ફાયદાકારક છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધના પાવડરમાં મધ ભેળવીને નેજલ ડ્રોપની જેમ નાકમાં નાખવાથી માઈગ્રેનના દુખાવાથી રાહત મળે છે.

જો ઉલ્ટી કરતા સમયે લોહી નીકળતું હોય તો જેઠીમધનું સેવન કરવાથી અથવા જેઠીમધ અને રક્ત ચંદન ચૂર્ણ બંનેને 1 થી 2 ગ્રામની માત્રામાં દૂધ સાથે વાટીને તેમાં 50 મિલી દૂધ ભેળવીને થોડી થોડી માત્રામાં પીવાથી ઉલ્ટીમાં લોહી આવવાનું બંધ થઇ જાય છે.

શરીરમાં લોહીની ઉણપ સર્જાતા પર જેઠીમધનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. તેના માટે એક ચમચી જેઠીમધ ચૂર્ણ અથવા જેઠીમધ પાવડરને મધ સાથે ભેળવીને ખાવાથી અથવા 10 થી 20 મિલી જેઠીમધના પાવડરને મધ સાથે ભેળવીને પીવાથી લોહીમાં વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *