દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા : સ્વાગતમાં કાર્યકરો અને શહેરીજનો ઉમટી પડયા: કૌશિક વેકરિયા અમરેલીમાં પગપાળા ચાલીને વેપારીઓને મળ્યા
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ રાજ્ય સરકારમાં પેટ્રોલિયમ અને કાયદા વિભાગના મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ અમરેલી જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. તેમના આગમન પર ઇશ્વરિયા ગામમાં, કે જે પરષોત્તમ રૂૂપાલાનું વતન છે, ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સ્વાગત સમારોહમાં ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, રાજકોટના સાંસદ પરષોત્તમ રૂૂપાલા સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ, મંત્રી વેકરિયા અમરેલી શહેરના સેન્ટર પોઈન્ટ પર પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને શહેરીજનો ઉમટી પડ્યા હતા.
મંત્રી કૌશિક વેકરિયાએ નાગનાથદાદાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ અમરેલી શહેરના રાજમાર્ગો પર પગપાળા ચાલીને વેપારીઓને મળ્યા હતા. વેપારીઓએ પણ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ મંત્રી વેકરિયાના અભિવાદન માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
અમરેલી ભાજપમાં 2022થી ચાલી રહેલા જૂથવાદ અને વરિષ્ઠ નેતાઓ વચ્ચેના ઘર્ષણના કારણે રાજકીય માહોલ ગરમાયેલો હતો. અગાઉ કૌશિક વેકરિયાના ‘લેટરકાંડ’ સમયે પણ વરિષ્ઠ નેતાઓએ અનેક નિવેદનો અને આક્ષેપો કર્યા હતા. જોકે, આજે કૌશિક વેકરિયાને મંત્રીપદ મળતા જ દિલીપ સંઘાણી, ડો. ભરત કાનાબાર, અશ્વિન સાવલિયા સહિતના વરિષ્ઠ નેતાઓ પરષોત્તમ રૂૂપાલાના નિવાસસ્થાને પહોંચીને તેમનું સ્વાગત કર્યું હતું. વરિષ્ઠ નેતાઓની આ હાજરીને સૂચક માનવામાં આવી રહી છે.
