કાલાવડ ભાજપમાં જૂથવાદ ચરમસિમાએ ડાંગરિયા અને ગઢિયા જૂથ વચ્ચે વિવાદ

જામનગર જિલ્લાના કાલાવડમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજય ડાંગરીયા અને જામનગર જિલ્લા દૂધ સંઘના ચેરમેન કાંતિ ગઢિયા જૂથ વચ્ચેનો વિવાદ…

જામનગર જિલ્લાના કાલાવડમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજય ડાંગરીયા અને જામનગર જિલ્લા દૂધ સંઘના ચેરમેન કાંતિ ગઢિયા જૂથ વચ્ચેનો વિવાદ હવે ખુલ્લેઆમ પોલીસ ફરિયાદ અને ઓડિયો ક્લિપ્સ સુધી પહોંચી ગયો છે.

થોડા દિવસો પહેલા સંજય ડાંગરીયા અને કાંતિ ગઢિયા વચ્ચે સામ-સામે ધમકી આપવા બાબતે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ડાંગરીયા જૂથ દ્વારા ગઢિયાને ધમકી અને ગાળો આપવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના જવાબમાં કાંતિ ગઢિયા દ્વારા પણ સામસામી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ વિવાદને વધુ ગંભીર બનાવતો મુદ્દો એ છે કે, ઓડિયો ક્લિપ્સમાં કાંતિ ગઢિયા ભાજપના વરિષ્ઠ નેતા આર.સી. ફળદુ સામે અસંતોષ વ્યક્ત કરતા સાંભળાયા છે. ભૂતકાળમાં ફળદુના નજીકના મનાતા ગઢિયા, હવે ભાજપમાંથી રાજીનામું આપવા માટે સમર્થન મેળવી રહ્યા હોવાનો ઓડિયોમાં ઘટસ્ફોટ થયો છે. ગુજરાતમાં સૌથી મજબૂત ગણાતું ભાજપ સંગઠન પોતાના જ આંતરિક વિવાદોથી ઝઝૂમી રહ્યું છે.

નેતાઓનું આ વર્તન પક્ષની છબીને અસર કરે છે અને સંગઠન શિસ્ત પર પણ સવાલ ઊભા કરે છે.
એક સમયે સંગઠનવાદ માટે ઓળખાતો ભાજપ આજે જૂથવાદમાં વિખરાતો દેખાય છે. જો આ વિવાદો પર કડક નિયંત્રણ નહીં લાવવામાં આવે, તો તેનો પ્રત્યક્ષ રાજકીય ફાયદો વિરોધી પક્ષોને મળી શકે છે. જામનગરની આ ઘટના ભાજપ માટે આંતરિક વિવાદોને શાંત કરવાનો મોટો પડકાર દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *