ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળસંસાધન પ્રધાન સી આર પાટીલે પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોએ સિંધુમાંથી પાણી વહેશે અથવા લોહી વહેશે તેનો સણસણતો જવાબ આપ્યો છે. પાટિલે જણાવ્યું હતું કે તેઓ જરા ઇતિહાસ જોઈ લે, તેમના દાદા ઝુલ્ફીકાર ભુટ્ટો સમક્ષ નાકલીટી તાણીને ભારત સાથે શિમલા કરાર કર્યા હતા. આ સમયે ભારતે ધાર્યું હોત તો પાકિસ્તાન પણ ન રહ્યુ હોત, તેથી પાકિસ્તાનનું આજનું અસ્તિત્વ અમારી દયા પર નિર્ભર છે.
બિલાવલ ભુટ્ટો હાલમાં શેખી નાખી મારવા નીકળી પડ્યા છે તે જાણી લે કે ફક્ત બિલબિલાટ કરી રહ્યા છે. તેમની ધમકીઓ ફક્ત પોકળ ધમકીઓ છે. તેમનામાં કશું કરી શકવાની તાકાત નથી. લોહીની નદીઓ તો વહાવનારા સમજી લે કે તેઓ ટૂંક સમયમાં પાણી વગર તરસે મરવાના છે. તેઓએ આતંકવાદને પોષ્યો છે તો તેની કિંમત પણ તેમણે ચૂકવવી પડશે.
ભારતે અત્યાર સુધી ધીરજ રાખી, પરંતુ હવે માથા પરથી વહી ગયું છે. તેથી હવે પાક.માં વહેતું પાણી બંધ કરી દેવાનું છે. બિલાવલ ફક્ત પોકળ ધમકીઓ જ આપી શકે તેમ છે. તેનાથી કશું જ થઈ શકે તેમ નથી. પાકિસ્તાન તેમના દાદાશ્રીના સમયથી ભારત સામે હંમેશા હાથ જોડીને પોતાના જીવનની ભીખ માંગતુ આવ્યું છે અને તે ભીખ માંગતુ રહેશે. ભારતે હંમેશા તેને ઇજ્જત બક્ષવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે લાગે છે કે ઇજ્જતને પૂરુ લાયક જ નથી. ઇજ્જત સાથે રહેવું અને સન્માન સાથે રહેવું તેના સ્વભાવમાં જ નથી.
પહલગામના આતંકવાદી હુમલાએ ભારતની ધીરજનો અંત લાવી દીધો છે. ભારત હવે તેનો જડબાતોડ જવાબ આપવાનું છે. બિલાવલને ખબર પણ નહીં પડે કે તેઓની સાથે આ શું થયું છે. બસ તે ફક્ત રાહ જુએ.
