સાધુના પોતાના અને ગૌશાળાના બેંક ખાતામાં ફ્રોડના નાણા ઠલવાયા અંગે 13 ફરિયાદો થઇ છે
આગ્રાના વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરી પાંચ લાખની પડાવેલી રકમ સાધુના ખાતામાં જમા થઇ હતી
સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી માટે હવે સાધુવેશમાં ફરતા અને ગૌસેવાના નામે ચાલતા ટ્રસ્ટના નામ સામે આવ્યા છે. જૂનાગઢ પોલીસે કેરાળા ગામમાં ચાલતી ગૌશાળાના સંચાલક કલ્યાણગીરી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. કલ્યાણગીરીના પોતાના અને ગૌશાળાના બેંક ખાતામાં દેશમાં કૂલ 13 ફરિયાદો નોંધાઈ છે. આ બંને ખાતામાં સાયબર ફ્રોડના ટ્રાન્સફર થયેલા 40 લાખ રૂૂપિયા ઉપાડી લેવાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કલ્યાણગીરીની ધરપકડ કરી પૂછપરછ શરૂૂ કરી છે.
સાયબર ક્રાઈમના વધતા જતા ગુનાઓને ડામવા ગુજરાત પોલીસ દ્વારા શરૂૂ કરાયેલા ખાસ અભિયાન હેઠળ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં કેરાળા ગામે ગૌશાળાનું સંચાલન કરતા અને ભવનાથ અવધૂત આશ્રમના મહાદેવગીરીના શિષ્ય કલ્યાણગીરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે. તપાસમાં ખૂલ્યું છે કે, કલ્યાણગીરીએ સાયબર ફ્રોડના નાણાં જમા થતા હોવાનું જાણ હોવા છતાં પોતાના અને ગૌસેવા ટ્રસ્ટના કુલ ત્રણ બેંક ખાતાઓને ’મ્યુલ એકાઉન્ટ’ (ભાડે આપેલા ખાતા) તરીકે વાપરી કુલ ₹40,76,380 ટ્રાન્સફર કર્યા હતા.
કલ્યાણગીરી બાપુ સામે નોંધાયેલી FIR મુજબ તેમના ખાતાઓમાં દેશના અલગ-અલગ ખૂણેથી છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ભારત સરકારના NCCRP પોર્ટલ દ્વારા મળેલી વિગતો મુજબ બાપુના ત્રણ ખાતાઓની તપાસ કરતા કલ્યાણગીરીની આખી ’ક્રાઈમ કુંડળી’ સામે આવી હતી.
બાપુના SBI બેંકના વડાલ શાખાના ખાતામાં ઉત્તર પ્રદેશના આગ્રાના રહેવાસી રાજેન્દ્ર પ્રસાદ જૈન સાથે થયેલા ’ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડના ₹5,00,000 જમા થયા હતા. સાયબર ઠગોએ ભોગ બનનારને ડરાવી-ધમકાવીને આ રકમ કલ્યાણગીરીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી. દોલતપરા શાખામાં લાખોના ટ્રાન્ઝેક્શન મળ્યા હોવાની વિગતો પોલીસને IDFC ફર્સ્ટ બેંકના ખાતામાંથી મળી છે. અહીં કુલ 3 મોટી ફરિયાદો નોંધાઈ છે જેમાં કુલ ₹10,56,380 જમા થયા હતા. તમિલનાડુ વેલ્લોરના જસવંત કુમાર જૈન સાથે બ્રાન્ડીવાઈન કંપનીમાં રોકાણની લાલચ આપી ₹1.34 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. ઉપરાંત, આગ્રાના રાજેન્દ્ર પ્રસાદ જૈન પાસેથી ફરી એકવાર ’ડિજિટલ અરેસ્ટ’ના નામે કુલ ₹7.88 લાખ પડાવવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના વિશ્વનાથ પાલ નામના નાગરિક સાથે પણ ઇન્ટરનેટ બેંકિંગ ફ્રોડ કરીને ₹1.34 લાખ આ જ ખાતામાં જમા કરાવ્યા હતા. આ તમામ નાણાં બાપુએ આર્થિક ફાયદા માટે ઉપાડી લીધા હતા.
ગૌસેવા ટ્રસ્ટમાં છેતરપિંડીની રકમ ઠાલવી હોવાનું સૌથી ગંભીર બાબત સામે આવી છે. બાલક્રિષ્નાગીરીબાપુ ગૌ સેવા ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં થયેલા વ્યવહારોમાં કલ્યાણ ગીરીએ પોતાના અંગત લાભ માટે કે પછી અન્ય કોઈને લાભ અપાવવા આ રૂૂપિયા ટ્રાન્સફર કર્યા છે તે પણ તપાસનો વિષય બન્યો છે,આ ખાતામાં કુલ 5 ફરિયાદો દ્વારા ₹ 25,20,000 મેળવાયા હતા. મહારાષ્ટ્રના મીરા રોડના સંજય સાનવાલ સાથે ઓનલાઇન ટ્રેડિંગ ફ્રોડ કરી ₹7 લાખ જમા કરાવ્યા હતા. દિલ્હીના વિજય સરદાના સાથે શેરબજારમાં રોકાણની લાલચ આપી ₹5.20 લાખની છેતરપિંડી કરાઈ હતી. કર્ણાટક અને તમિલનાડુના અન્ય ભોગ બનનાર પાસેથી પણ ટ્રેડિંગના નામે લાખો રૂૂપિયા આ ટ્રસ્ટના ખાતામાં મંગાવાયા હતા.
ફ્રોડના નાણાં ટ્રાન્સફર થયા તેમાં ટ્રસ્ટી તરીકે કોણ કોણ?
જે બાલકૃષ્ણગીરી બાપુ ગૌસેવા ટ્રસ્ટનું નામ સાયબર ફ્રોડમાં સામે આવ્યું છે તેની સ્થાપના સમયનું ટ્રસ્ટડીડ ભાસ્કરને મળ્યું છે. આ ટ્રસ્ટની સ્થાપનામાં સેટેલર તરીકે સરસ્વતી ગીરી માતાજી અને ટ્રસ્ટીઓ તરીકે સરસ્વતી ગીરી, મહાદેવગીરી (ખજાનચી) અને મૂળુભાઈ ચાવડાનો (ટ્રસ્ટી) સમાવેશ થાય છે. દસ્તાવેજો તપાસતા માલૂમ પડ્યું છે કે, આરોપી કલ્યાણગીરીના પર્સનલ ઈ-મેલ આઈડી અને પાન કાર્ડ નંબરનો ઉપયોગ આ ટ્રસ્ટના સત્તાવાર કાગળોમાં ઉલ્લેખ થયેલો છે. આટલું જ નહીં ગૌસેવા માટે બનેલા આ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2022માં આવકવેરામાં દાન મુક્તિ (10AC) મેળવવા જે પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરાયો હતો, તેમાં ₹18 કરોડના ખર્ચે હાઈટેક હોસ્પિટલ બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
