જૂનાગઢ : ઉપરકોટ રામજી મંદિરના મહંત દારૂ-ચરસ-ગાંજાના વ્યસની

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ નજીક રામજી મંદિરના સંચાલન અને મહંત શ્રેયાંશદાસજી સામે સ્થાનિક સાફ-સફાઈ કામદારો તેમજ પાર્કિંગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા…

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ નજીક રામજી મંદિરના સંચાલન અને મહંત શ્રેયાંશદાસજી સામે સ્થાનિક સાફ-સફાઈ કામદારો તેમજ પાર્કિંગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. સ્થાનિકોએ મંદિર પરિસરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો આરોપ લગાવ્યો છે, જેની સામે મંદિરના મહંતે પત્રકાર પરિષદ યોજીને પોતાના પર લાગેલા તમામ આરોપોને તદ્દન ખોટા અને સનાતન ધર્મને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે.

સૌપ્રથમ આક્ષેપ કરનાર સાફ-સફાઈ કર્મચારી ઉષાબેન અગ્રાવતે જણાવ્યું હતું કે, ઉપરકોટમાં હાઉસકિપિંગનું કામ કરે છે. મંદિરના બાપુ ત્યાંના તમામ કામદારોને હેરાનગતિ કરે છે અને ત્યાં આવતા ટૂરિસ્ટો સાથે પણ ગાળાગાળી કરે છે. તેઓ જ્યારે પણ સફાઈ કરે છે ત્યારે ફરીથી કચરો ફેંકી દેવામાં આવે છે. તેમણે વધુમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, બાપુ દારૂૂ, ચરસ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું સેવન કરીને લોકોને ભેગા કરે છે અને હેરાનગતિ ઊભી કરે છે. તેથી તેમણે કલેક્ટર તેમજ સંબંધિત અધિકારીઓ સમક્ષ બાપુને ત્યાંથી તાત્કાલિક ધોરણે હટાવવા કે તેમની બદલી કરવાની માંગ કરી છે.

બીજી તરફ, ઉપરકોટ પાસે છેલ્લા ચાર વર્ષથી વાહનોના પાર્કિંગનો વ્યવસાય કરતા વિશાલગિરી ગોસ્વામીએ જણાવ્યુ હતું કે, તેમની ઉપર લગાવાયેલા તમામ આક્ષેપો ખોટા છે. તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે, બાપુ દ્વારા 2016માં છોકરીઓની છેડતી કરવામાં આવી હતી, જે અંગેની અરજીઓ પણ હાજર છે. બાપુ ગૌશાળાના નામે ગેરકાયદે નાણાં ઉઘરાવે છે અને કલેક્ટરની શરતોનો ભંગ કરે છે. વર્ષ 2019ની અરજી બાદથી તેમને મહંત પદ પરથી હટાવી દેવામાં આવ્યા હોવા છતાં ગેરકાયદે રીતે પોતાનો પ્રભાવ બતાવી સ્થાનિકો અને પ્રવાસીઓને હેરાન કરે છે. આથી તેમને તાત્કાલિક ધોરણે ત્યાંથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે.

દારૂ-જુગારના અડ્ડાઓ અંગે અરજી કરતા આક્ષેપો થયા: મહંતનો જવાબ
આ મામલે રામજી મંદિરના મહંત શ્રેયાંશદાસજીએ જણાવ્યું હતું કે, મંદિર નજીક ગેરકાયદે રીતે ચાલતા દારૂૂ અને જુગારના અડ્ડાઓ તેમજ પેશકદમી હટાવવા તેમણે નગરપાલિકામાં અરજી કરી હતી. આ ગેરપ્રવૃત્તિઓ બંધ કરાવવાના પ્રયાસોથી નારાજ થઈ વિશાલ ગોસ્વામી અને તેમના પરિવાર દ્વારા મંદિર તથા મહંતને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, મંદિરમાં 24 કલાક CCTV કેમેરાનું મોનિટરિંગ ચાલુ હોય છે, જેમાં આક્ષેપ કરનાર મહિલાઓ ક્યારેય દર્શન કરવા આવી જ નથી. મહંતે વધુમાં જણાવ્યું હતું કે, કંપનીના સુપરવાઈઝરની સૂચના મુજબ કોઈ કર્મચારી સાથે સીધી વાતચીત પણ કરતા નથી, તેથી કામ રોકવાનો કે ધમકી આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ તમામ કાવતરું મંદિર અને સનાતન ધર્મને બદનામ કરવા માટે ઘડવામાં આવ્યું છે, જે અંગે તેમણે પોલીસ ચોકીમાં લેખિત ફરિયાદ પણ નોંધાવી છે. તેમણે જૂનાગઢની જનતાને આવી ખોટી વાતો અને વીડિયોથી ભ્રમિત ન થવા અને ગેરમાર્ગે ન દોરાવા ખાસ અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *