યુવાને માનસિક બીમારીથી કંટાળી આત્મઘાતી પગલુ ભર્યાનું ખુલ્યુ : પરિવારમાં માતમ
વાંકાનેરના રાતીદેવડી ગામે રહેતા અને વાંકાનેરમાં આવેલી બીએસએનએલની ઓફિસમાં જીટીઓ તરીકે ફરજ બજાવતા યુવાને માનસિક બીમારીથી કંટાળી બીએસએનએલની ઓફિસમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા મહમદભાઈ ઇસ્માઈલભાઈ માથકીયા નામનો 42 વર્ષનો યુવાન ગત તા.24 ના રોજ બપોરના ચારેક વાગ્યાના અરસામાં વાંકાનેરમાં આવેલી બીએસએનએલની ઓફિસમાં હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતા વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક મહમદભાઈ માથકિયા બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્રી હતી મહમદભાઈ માથકિયા વાંકાનેર બીએસએનએલની ઓફિસમાં જેટીઓ તરીકે ફરજ બજાવતા હતા અને માનસિક બીમારીથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ અંગે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
