ન્યૂઝીલેન્ડની મેન્સ ક્રિકેટ ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવવાની છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ODI અને 5 T20I મેચની સિરીઝ રમશે. BCCI એ ન્યુઝીલેન્ડ સામેની T20I માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે, જ્યારે ODI ટીમની હજુ જાહેરાત જાન્યુઆરીની શરૂૂઆતમાં કરવામાં આવશે. એવામાં સૌથી વધુ ચર્ચા શ્રેયસ ઐયરના સિલેકશન અંગે થઇ રહી છે.
નોંધનીય છે કે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન 25 ઓક્ટોબરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રેયસ ઐયરને પાંસળીમાં ગંભીર ઈજા થઇ હતી, તે બે મહિનાથી ક્રિકેટથી દુર છે. ન્યુઝીલેન્ડ સામેની ODIમાં તે કમબેક કરે તેવી અપેક્ષા છે, હાલ બેંગલુરુ સ્થિત BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે શ્રેયસની રિકવરી પર દેખરેખ રાખવામાં આવી રહી છે.
એક અહેવાલ મુજબ BCCIના ડોક્ટર્સ અને અધિકારીઓને શ્રેયસની રિકવરી સંતોષજનક લાગશે તો, તે 3 અને 6 જાન્યુઆરીએ મુંબઈ માટે વિજય હજારે ટ્રોફીની મેચ રમી શકે છે. બીજી તરફ BCCIના સુત્રોના જણાવ્યા મુજબ 50 ઓવરની મેચ રમવા માટે શ્રેયસ સક્ષમ છે કે નહીં એ અંગે હજુ કેટલાક ટેસ્ટ કરવામાં આવશે.
